સરકારી વાહનો પરત લેવાશે : જિલ્લા કલેકટર તંત્ર સર્વ સત્તાધીશ રહેશે
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આજે બપોરે ૩ વાગે લોકસભાની ચૂંટણી જાહેરાત કરવામાં આવતા આચારસંહિતા લાગુ પડી જતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીલ્લા પંચાયતમાં પદાધિકારીઓની ચેમ્બરને તાળા લાગી જશે જયારે કોર્પોરેશનમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શાસક પક્ષના નેતાને આપવામાં આવેલ વાહનો પરત લેવામાં આવશે તેમજ તમામ કમટીના ચેરમેનની ચેમ્બરને તાળા લાગી જશે આવીજ રીતે જીલ્લા પંચાયતમાં પ્રમુખ ને આપવામાં આવેલ ગાડી પરત લેવામાં આવશે અને વિવિધ કમીટીના ચેરમેનની ચેમ્બરને તાળા લાગી જશે. આમ, આજે બપોરે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી જાહેરાત કરતાંની સાથે કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને PGVCLમાં નવા વિકાસ કામો ઉપર પાબંધી આવી જશે. અને ચૂંટણી દરમિયાન જો કોઈ મહત્ત્વની કામગીરી કરવાની હોય તો ચૂંટણીપંચની મંજૂરી લઈ કામો કરવામાં આવશે.
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ચુટણીની જાહેરાત કરવામાં આવતાની સાથે જ આચારસંહિતા લાગુ પડે કે તુરંત મેયર સિવાયના પદાધિકારીઓની ચેમ્બરને તાળા મારી દેવાશે અને વાહનો પરત લઈ લેવામાં આવશે. મનપાની ૧૫ સમિતિના ચેરમેન પાસે ચેમ્બરો છે. જયારે સ્ટેન્ડિંગ ચેરમેન, ડે. મેયર, શાસક પક્ષના નેતા, ઉપનેતા અને ફાયર સમિતિના ચેરમેન પાસે હોદ્દાની રૂએ મળેલી ગાડીઓ છે જે પરત લઈ લેવામાં આવશે. મેયરની ગાડી તેમની પાસે રહેવા દેવાશે પણ તેનો ઉપયોગ ઘરથી મનપા સુધી આવવા માટે જ કરી શકાશે. કોઈ રાજકીય કાર્યક્રમમાં આ ગાડી લઈ નહિ જઈ શકાય.
રાજકોટ જિલ્લા પંચાયતમાંથી ૯૭ વિકાસ કામના ઓર્ડર નિકળ્યા
સંભવત કાલથી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડવાની હોવાથી જિલ્લા પંચાયતમાંથી વિકાસકામોના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાંથી ૪૫ અને સિંચાઈ વિભાગમાંથી ૪ મેગા અને અન્ય ૨૮ કામોના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા આચાર સંહિતા લદાઈ ગયા બાદ ઓર્ડર કાઢી નહિ શકાતા હોવાથી જિલ્લા પંચાયતમાં આ કાર્યવાહી કરવામાં આવ્યાનું ડી.ડી.ઓ. નવનાથનવ્હણેએ કહયું હતું. વર્ક ઓર્ડર લેવા માટે ઈજારેદારો બે દિવસથી જિલ્લા વિસ્તારના કામોના વર્ક ઓર્ડર નિકળે તે માટે અધિકારીઓ અને ઈજનેરોને દબાણ કરવામાં આવી રહ્યાની વિગતો પ્રાપ્ત થાય છે. ડી.ડી.ઓ.એ. નાણાપંચ, સ્વભંડોળ તેમજ વહિવટી / મંજૂરી મળીને કુલ ૯૭ કામોના ઓર્ડર કાઢયા હતા. પંચાયત કચેરીમાં આંટાફેરા કરી રહ્યા છે. સભ્યો દ્વારા પણ પોતાના મત વિસ્તારમાં વિકાસ કામો મંજૂર કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
વીજ ચેકીંગને બ્રેક લાગી જશે
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આજે લોકસભાની ચુટણીની જાહેરાત કરવામાં આવનાર છે ત્યારે વીજ કંપની દ્વારા મોટા પાયે વીજ ચોરીના કેસ ઝડપી લેવા માટે વીજ તંત્ર દ્વારા ચેકીંગ કરવાની કામગીરી ઉપર બેક લાગી જશે તેમજ બદલી બઢતી અને નવા કામો ઉપર બ્રેક લાગી જશે


