તનો સમય છે. ઋષભદત્તના ઘરમાં એક તરફ જંબુકુમાર બેઠેલા છે તો બીજી તરફ રૂપ અને ગુણથી શોભતી લાવણ્યમયી આઠ નવપરિણીતા કન્યાઓ બેઠેલી છે.
કોઈ પણ એક યુવતીની સામે નજર કરો તો તમારા મિત્રને મુગ્ધ અને લુબ્ધ ન કરે એ શક્ય નથી. આઠે કન્યાઓને કરિયાવરમાં અઢળક ધન મળેલું છે. એને લાવીને ઘરના કમરાઓમાં ઠાલવેલું છે, પણ આમાંની એક પણ વસ્તુએ જંબુના ચિત્તમાં સ્થાન જમાવેલું નથી.
રાત સન્નાટાભેર આગળ વધી રહી છે. જંબુકુમારની આંખોમાં ઊંઘનો અહેસાસ નથી. થનગનતી આઠ કન્યાઓનાં અંગઅંગમાં યૌવનનો ઉન્માદ જોવા મળે છે. જંબુ હવે અમારી સામે કેટલો સમય વૈરાગી તરીકે ટકી શકશે? બિચારી કન્યાઓ! એમને ક્યાં ખબર છે જે માણસ જેવો મુલાયમ દેખાય છે એ અંદરથી તો કાળમીંઢ પથ્થર શી પોલાદને ચટ્ટાનોથી પણ વધારે કઠોર છે.
આખા નગરમાં એક ચર્ચા છે કે ઋષભદત્તના ઘરમાં આજે અચાનક મહોત્સવ ઊજવાયો છે. આવા ઉત્સવની કોઈ કલ્પના પણ કરી શકાય નહીં. વાતો તો વાયરાના આધારે વહેતી હોય છે. પાંચસો ચોરોનો સરદા પ્રભવ નામનો એક ચોર જંગલની ઝાડીઓમાં છુપાયેલો હતો. પાંચસો પરિવારો માટે આજીવિકાનો એ એકમાત્ર આધાર હતો. કેટલા બધા બાતમીદારો માટે ધનના આગમનનો સ્રોત હતો. એક બાતમીદાર એના આંગણે આવીને ઊભો છે. સરદાર, એક સુવર્ણ સમાચાર લઈને આવ્યો છું. અઢળક દ્રવ્ય મળી શકે એમ છે. એણે આખી વાત ટૂંકમાં સમજાવી. આજે તમારું ભાગ્ય અજમાવવાનો સુવર્ણ અવસર છે.
શેઠ ઋષભદત્તના એકના એક દીકરાની સાથે આઠ કન્યાઓને એમનાં માતા-પિતાએ પરણાવી છે. દહેજમાં આ બધીએ કન્યાઓ અબજોનો ખજાનો લાવેલી છે. એ `બિચારા’ કેટલું વાપરશે. એના ઘરમાં પડ્યું પડ્યું સડ્યા કરે એના કરતાં આપણે એનો સદુપયોગ કરીએ એમાં શું વાંધો છે? જલદી કરો, આજે તમારા ભાગ્યની પરીક્ષા છે.
પ્રભવ પણ હવે બાતમીદારની વાતના વહેણમાં તણાયો છે. એ પણ વિચાર કરે છે. આઠ કન્યાઓનાં મા-બાપની એકની એક કન્યા હોય ત્યારે એનાં મા-બાપ આપવામાં કચાશ ક્યાંથી કરવાનાં હોય. હવે આપણાં ભાગ્યને સાકાર કરવાનું સામર્થ્ય તો આપણામાં જોઈએ. એણે પોતાની જાતને કહ્યું, ચલ ઊભો થા. કામે લાગ. અવસર વારે વારે નહીં આવે.
પ્રભવ વિચારે છે આટલું બધું દ્રવ્ય મળતું હોય તો આપણે પ્રયત્ન કરવો જ જોઈએ. એણે પોતાની ટોળીને આહવાન કર્યું, આપણે આજે બહુ મોટી ધાડ પાડવાની છે. તૈયાર થઈ જાવ. આજ પછી કદાચ બીજી ધાડ પાડવાની આપણને જરૂર પડવાની નહીં.
આજે આપણે રાજગ્રહી નગરમાં ઋષભદત્તના ઘેર જવાનું છે. પાંચસો ચોરોની સાથે પ્રભવ ચોરી કરવા આવે છે. સરદારી એણે સ્વીકારી છે. બધાને પોતપોતાની પોઝિશન પ્રમાણે ગોઠવી દીધા છે. કેવી પળોમાં કેવી રીતે વર્તવાનું એ બધી શિક્ષા પહેલાં જ આપી દીધી છે. થોડાક ચોરો અત્યંત સાવધાનીપૂર્વક અંદર આવે છે. અંદરનું દૃશ્ય જોઈને બધા ચોરો પણ સ્તબ્ધ થઈ ગયા છે. અત્યાર સુધી જ્યાં પણ ચોરી કરી છે ક્યાંય માલિક જાગતો હોય એવી જગ્યાએ ચોરી કરી નથી, આજે સૌપ્રથમ એવી જગ્યા છે જ્યાં જાગતા-સાચા અર્થમાં જાગતાના ઘરમાં ચોરી કરવાની છે. સાવધાની રાખવી પડશે.
જોકે, આ ઘરનો માલિક જંબુ વ્યવસ્થિત જાગેલો છે એટલે ચોરોને કોઈ તકલીફ પણ થવાની નથી. એમણે ફટાફટ સોનું-સોનામહોર વગેરે ભેગું કરવા માંડ્યું. બધું એક જગ્યાએ એકત્રિત કરીને ગાંસડી બાંધી ત્યાં સુધી બરાબર, પણ હવે અચાનક એના હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા, જાણે કોઈએ એના હાથ-પગ બાંધી દીધા હોય એવું લાગે છે. એ વિચાર કરે છે, હશે ક્યાંક એની પાસે સ્થંભન વિદ્યા. એનાથી મારા હાથ-પગ બાંધી દીધા હશે, પણ આ જંબુને એવું કશું કરવાની જરૂર નથી. જંબુ ધારત તો આનો કોઈ પણ રસ્તો લઈ શકતો હતો, પણ એવા રસ્તાની એને ક્યાં કોઈ જરૂર હતી? એ તો એવો વિચાર કરતો હતો કે મારે જે વસ્તુને છોડવાની છે એને આજે કોઈ લઈ જતો હોય તો આજે રોકવાનો પ્રયાસ શા માટે કરવો? લઈ જવા દો આપણી મહેનત તો બચીને.
જંબુ અને એની આઠ પત્નીઓ લગ્નની પહેલી રાતે રાગના બદલે વૈરાગ્યના રંગમાં લહેરાઈ રહેલા હતા. કન્યાઓ પોતાની વાતને મજબૂતાઈથી રજૂઆત કરતી હતી. પોતાની વાતના સપોર્ટ માટે ઉદાહરણો-દૃષ્ટાંતોનો પણ સહારો લઈ રહી હતી, તો એના જવાબમાં જંબુ પણ મજબૂતાઈથી એનો રદિયો આપી રહેલો હતો અને દરેક દૃષ્ટાંતનો જવાબ દૃષ્ટાંતથી આપવાનું ચાલુ છે.
દૃઢતાપૂર્વક પોતાની વાત કરે જાય છે. આઠે પત્નીઓનું એ કહેવું હતું કે હજુ તો આપણી નાની ઉંમર છે, સંસારમાં રહીને પછી સંયમ જીવન સ્વીકારીશું, ઉતાવળ કરવાની ક્યાં જરૂર છે?
જંબુ કહે છે ઉતાવળ એટલે શું? આપણે એ નક્કી કરી શકીએ? માણસ વાત કરતાં કરતાં પણ ઢળી પડતો હોય છે. એના આયુનો કોઈ ભરોસો નથી હોતો. નાની ઉંમર સમજીને તમે આળસ અને પ્રમાદમાં તમારો સમય વ્યય કરો અને એક દિવસ એવો આવે કે જ્યારે આપણે કંઈ કરી જ ન શકીએ.
તમારી વાત તો સાચી છે, પણ આપણે સામાન્ય રીતે એવી અપેક્ષા રાખી શકીએ કે સિત્તેર/એંશી વર્ષ તો માણસને કોઈ વાંધો આવે નહીં. આપણે ચાલીસથી પચાસમાં સંસારનો ત્યાગ કરવાની ખાતરી આપીએ.
તમારી વાત સાચી, પણ આપણે એ પહેલાં ઉપર નહીં પહોંચી જઈએ એની ખાતરી કોણ આપશે?
આયુષ્ય કર્મ ક્યારે આપણી ઉપર પ્રભાવિત થશે એ જો આપણે જાણી શકતા ન હોઈએ એવા સમયે આપણે ભવિષ્યનો વિચાર કરીએ એમાં આપણું ડહાપણ ક્યાં છે અને કેટલું છે એ પણ સાથે સાથે વિચારી લેવું જ રહ્યું.
આ નવે જણાઓના સંવાદને પેલો પ્રભવ પણ સાંભળી રહ્યો છે. એના શરીરને બંધનનો અનુભવ કરી રહેલો હતો, પણ સાંભળવા અને વિચારવામાં કોઈ બંધન ન હતું. પ્રભવ વિચાર કરે છે આ માણસનાં આજે જ લગ્ન થયાં છે. રૂપ અને લાવણ્ય નીતરતી આઠ આઠ પત્નીઓ સામે છે. સંપૂર્ણ સમર્પિત થવા થનગને છે અને છતાં આ માણસ વૈરાગી થઈને સામે ઊભો છે, એનું મન કઈ જાતનું હશે?
અરે ! આટલા ધનનો ઢગલો મેં કર્યો છે. હું ચોરી કરવા આવેલો છું. એ એની નજરમાં આવી ગયેલું છે અને છતાં મને અટકાવવાનો પ્રયાસ કરવાનું પણ એને મન નથી થતું. માણસ આવી વિચારણાવાળો પણ હોઈ શકે? માનવામાં આવતું નથી.
આઠે યુવતીઓ અને જંબુના પરસ્પરના વાર્તાલાપને ફક્ત સાંભળતો જ નથી, વિચાર પણ કરે છે આ લોકોના વાર્તાલાપમાં સાચી દિશા કોની છે. આ ધન મને કેટલું કામ આવશે? ચોરી તો કરવી છે, પણ હવે એવી ચોરી કરવી છે કે બીજી વાર ક્યારેય પણ મારે ચોરી કરવી ન પડે. આ ધનની કિંમત કેટલી? એની સાથેના સાથ સહકારનો મારે કેટલો ભરોસો કરવાનો! એની સામે અત્યારે બીજી વાત મારા ધ્યાનમાં આવે છે જે વસ્તુનો જંબુ નિર્દેશ કરે છે એ જ માર્ગે શું હું ન ચાલી શકું?
નવે જણા નિષ્કર્ષ સુધી પહોંચી ગયાં છે, બસ બહુ થયું હવે વધારે ચર્ચા કરવાનો અર્થ નથી, સમયે સાચી વાતનો સ્વીકાર કરવો જ પડતો હોય છે. નવે જણાએ નિર્ણય કરી લીધો છે, આપણે હવે આજે જ સંયમ માટે ગુરુદેવ પાસે જવાનું છે. એમણે નવે જણાએ પોતપોતાનાં માતા-પિતા વગેરેને સમાચાર મોકલી દીધા છે. સવારે અમારે સંયમ સ્વીકારવા તરફ આગળ વધવાનું છે.
પેલો પ્રભવ પણ વિચાર કરે છે કે અત્યાર સુધી જે ચોરી કરી એ ખોટા ધનની હતી, આજે હું જે ધનની ચોરી કરી રહ્યો છું તે જ સાચું ધન છે.
હું આજે જ દીક્ષા લઈશ. મારા પાંચસો સાગરીતોને શું કરવું એનો નિર્ણય એ લોકો લેશે, પણ હવે મારો નિર્ણય અડગ છે અને એક છે. આજથી આ સામે બેઠા છે એ જ મારા ગુરુ. એમણે આજે મારી આંખ ખોલી નાંખી છે. મેળવવાની મહેનત કરવાની તો વાત જ નથી, આ બધું ભેગું કરેલું છે એની સાથે પણ મારે કોઈ નિસબત નથી. બસ, હું તો હવે આ સામે બેઠા છે એમનો શિષ્ય થઈને જ રહીશ.
ઋષભદત્ત અને ધારીણી વિચાર કરે છે. એકનો એક દીકરો જો આ બધું છોડીને જતો હોય તો હવે આપણે પણ આ સંસારમાં રહીને શું કામ છે?
આઠે કન્યાઓનાં માતા-પિતાને પણ જ્યારે આ સમાચાર મળે છે ત્યારે એમનો પણ આ જ જવાબ હોય છે દીકરીઓ જ્યારે ભગવાન મહાવીરના પંથે પ્રયાણ કરતી હોય ત્યારે હવે અમારે આ સંસારમાં રહીને શું કામ છે? પેલા પાંચસો ચોરોને જ્યારે સમાચાર મળે છે કે અમારો નેતા પ્રભવ ભગવાનના પ્રભાવમાં આવીને સંયમ જીવનને અંગીકાર કરવા તત્પર હોય તો અમારે હવે બીજો વિચાર કરવાની ક્યાં જરૂર છે? અમે પણ એ જ માર્ગે આગળ વધીશું, જે માર્ગે અમારો નેતા જાય છે.
આમ, એ દિવસે સવારે રાજગૃહી નગરીમાંથી એકસાથે પાંચસો સત્તાવીશ આત્માઓ સુધર્મા સ્વામીજીની પાસે દીક્ષા લેવા જતા હશે એ સમયના દૃશ્યની આપણે કલ્પના કરવાની અને આપણે વિચાર કરવાનો કે આવા સમયે હું પણ એમની સાથે જોડાઈ જાઉં તો મારી આત્મજાગૃતિ કેવી બની શકે?


