- એકસાથે વાગશે મેસેજટોન
- 16 ઓક્ટોબરે થશે ટ્રાયલ મેસેજ
- મોબાઈલ ઉપર મોકલવામાં આવશે મેસેજ
ગુજરાતના દરેક લોકોનો એકીસાથે એક જ સમયે ફોન વાગે તો કેવું? હા આ થવાનું છે અને 16 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે થવાનું છે. દરેકના ફોન પર એક મેસેજ આવશે અને તમારી ટોન વાગશે.
હકીકતે ગુજરાત સરકાર દ્વારા લોકોને વિવિધ કુદરતી આપત્તિઓ માટેની માહિતી મોકલવા માટે તેમને મેસેજમાં માહિતી મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકારનાં સૂચના અને પ્રસારણ વિભાગ દ્વારા ભવિષ્યમાં કટોકટી સમયે જાનહાનિ અટકાવવાનાં ઉદ્દેશ્ય સાથે આ સિસ્ટમને કાર્યરત કરવામાં આવી છે.
મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં તા. 16 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 11.00 કલાકે ‘Large Scale Testing of Cell Broadcast’ થવાનું છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિ વિશેની ઈમ્પોર્ટન્ટ માહિતી મોકલવા માટેની સુવિધા છે. નોંધનીય છે કે આ સુવિધામાં આબોહવા અને હવામાન પરિવર્તન, કુદરતી આપત્તિઓ, વાવાઝોડા અને તોફાન જેવી હવામાનની વિવિધ ગંભીર આગાહીઓથી લઈને લોકોના સ્થળાંતર, બચાવ કામગીરી અને ખાદ્ય પદાર્થો પહોંચાડવા જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જનતાને મોકલવામાં આવશે. આ અંગે દરેક મોબાઈલ ઉપર ટેસ્ટ મેસેજ મોકલવામાં આવશે.
કેન્દ્રની મોદી સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા આ મેસેજ મોકલવામાં આવે છે. આ માત્ર એક ટેસ્ટ માટેનો મેસેજ છે. પરીક્ષણના આધારે આ સિસ્ટમને સરકાર સમગ્ર દેશમાં લાગુ કરવા ઈચ્છે છે જેને લઈને આ પ્રાયોગિક મેસેજ છે. આપને ખાસ સૂચના છે કે આ મેસેજને અવગણવો કારણ કે તેને લઈને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. આ મેસેજ સમગ્ર દેશમાં ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના લાગુ કરવાના પરીક્ષણ માટે મોકલવામાં આવશે. કટોકટી દરમિયાન લોકોને રિયલટાઈમ અલર્ટ આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ ટાળવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા સંપૂર્ણ દેશમાં અમલી બનાવવાનું સરકારનું આયોજન છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવશે. મહત્વનું છે કે આ પ્રકારની માહિતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે. આ પોર્ટલ દ્વારા સંપૂર્ણ દેશના મોબાઈલ ઉપકરણો ઉપર વિપત્તિઓને લઈને માહિતી, અપડેટ કે અન્ય ઈન્ફોર્મેશન પહોંચાડી શકાય છે.