- દેશની સરહદો વધુ મજબૂત કરવા સરકાર કટિબદ્ધ: ગૃહમંત્રી
- ફેન્સીંગ માટે ચાલી રહ્યા છે 2 પાયલોટ પ્રોજેક્ટ: અમિત શાહ
- અરુણાચલ પ્રદેશ, મણિપુર રાજ્યોની સુરક્ષા વધુ મજબૂત થશે
કેન્દ્ર સરકારે ભારત-મ્યાનમાર સરહદ પર વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે એક મહત્વની યોજના બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારે 1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ લગાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સરકાર દેખરેખ વધારવા માટે બોર્ડર પેટ્રોલિંગ માટે ટ્રેક પણ બનાવશે.
કેન્દ્ર સરકારની આ યોજનાને દેશની સરહદોને અભેદ્ય બનાવવા માટે એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહનું કહેવું છે કે મોદી સરકાર દેશની સરહદોને અભેદ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે સારી દેખરેખ માટે ભારત-મ્યાનમાર સરહદ પર પેટ્રોલિંગ રૂટને વધુ મજબૂત બનાવવામાં આવશે.
‘ફેન્સીંગ માટે ચાલી રહ્યા છે 2 પાયલોટ પ્રોજેક્ટ’
ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વિટ કરતાં લખ્યું છે કે, “સરહદની કુલ લંબાઈમાંથી મણિપુરના મોરેહમાં 10 કિલોમીટરની વાડ પહેલેથી જ લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ (HSS) દ્વારા ફેન્સીંગના બે પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં દરેક કિલોમીટરના અંતરે ફેન્સીંગ કરવામાં આવી રહી છે. આ સિવાય મણિપુરમાં લગભગ 20 કિલોમીટર સુધી ફેન્સિંગ લગાવવાના કામને પણ મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે.
અરુણાચલ પ્રદેશ, મણિપુર રાજ્યોની સુરક્ષા વધુ મજબૂત થશે
ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુર ગયા વર્ષના મે મહિનાથી અશાંતિમાં છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં દરેક કિલોમીટરના અંતરે ફેન્સીંગનું કામ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.


