સીઆરપીએફ જવાનોને તૈનાત કરાશે તેવી જાહેરાત બાદ રેસકોર્સ ખાતે કેન્ડલ માર્ચ યોજી પૂર્ણાહુતી કરી
કોલકત્તાની આર જી કર મેડિકલ કોલેજમાં રેસીડેન્ટ મહિલા તબીબ પરના બળાત્કાર અને હત્યા કેસના દેશભરમાં ઘેરા પડદા પડ્યા છે. આ ઘટનાને લઇ રાજકોટ પિડિયું હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો છ દિવસથી હડતાલ પર જોડાયા હતા. દરરોજ અલગ અલગ કાર્યક્રમો આપી પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં આ ક્રમ રાબેતા મુજબ રહ્યો હતો. ત્યારે સરકારે ડોક્ટરોની માંગણીને ધ્યાને લઇ સરકારી હોસ્પિટલમાં સીઆરપીએફના જવાનોને તૈનાત કરવાની માંગણી માન્ય રાખતા અને ડોક્ટરોની સુરક્ષાને વધુ પ્રાધાન્ય અપાશે તેવી જાહેરાત કરતા રાજકોટ સરકારી હોસ્પિટલના રેસીડેન્ટ તબીબોએ બુધવારે રાત્રિના સમયે રેસકોસ ખાતે કેન્ડલ માર્ચ યોજી હડતાલનો અંત લાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતભરના ડોક્ટરોએ હડતાલ સમાપ્ત કરી હતી.
કોલકતાની આર.જી.કર મેડિકલ કોલેજમાં રેસીડેન્ટ મહિલા તબીબ પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના મામલે દેશભરના ડોકટરો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ પી. ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે પણ છેલ્લા છ દિવસથી જુનિયર તબીબો ઓ.પી.ડી. સારવારથી દૂર રહી હડતાળ પાડી રહ્યા હતા. જેમાં છઠ્ઠા દિવસે તબીબો દ્વારા સાફ- સફાઈ કરીને હડતાળ પાડવામાં આવી હતી. પરંતુ કોલકતામાં સીઆરપીએફની ટુકડી ગોઠવતા અને એક્ટ લાગુ કરી તમામ સરકારી હોસ્પિટલોમાં સીઆરપીએફના જવાનોની ડયુટી ફાળવવામાં આવશે તેવી ખાતરી આપતા રાજકોટના તબીબોએ રેસકોર્ષ ખાતે કેન્ડલ માર્ચ યોજી હડતાળની પૂર્ણાહૂતી કરી હતી. આમ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ યથાવત રહેલી રેસીડેન્ટ તબીબોની હડતાલનો અંત આવ્યો હતો.