દુબઈ મરીનામાં 67 માળની રહેણાંક બિલ્ડિંગ મરીના પિનેકલમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગને ટાઈગર ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ઉપરના માળે આગ લાગી હતી અને તે અનેક સ્તરોમાં ફેલાઈ ગઈ હતી.
દુબઈ સિવિલ ડિફેન્સે તાત્કાલિક કાર્યવાહી કરી અને 6 કલાકની મહેનત પછી આગને કાબૂમાં લીધી. આ સમય દરમિયાન 764 એપાર્ટમેન્ટમાં રહેતા 3,820 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. દુબઈ મીડિયા ઓફિસે પુષ્ટિ આપી હતી કે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
આગની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે હાજર
આગની જાણ થતાં જ દુબઈ સિવિલ ડિફેન્સ, પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડીએમઓએ જણાવ્યું હતું કે ખાસ ટીમો તમામ રહેવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવામાં સફળ રહી છે. કેટલાક રહેવાસીઓની એલાર્મ સિસ્ટમે કામ ન કરી અને તેમને પડોશીઓના અવાજ અથવા ધુમાડાની ગંધથી ભયનો ખ્યાલ આવ્યો હતો. ઘણા લોકોને ધુમાડાના કારણે સીડીઓને બદલે લિફ્ટથી બહાર કાઢવામાં આવ્યા હતા કારણ કે ધુમાડોમાં સીડીઓને ઉપયોગ અસુરક્ષિત બની રહ્યો હતો. રહેવાસીઓએ કટોકટી સેવાઓના ઝડપી અને સંકલિત પ્રતિભાવની પ્રશંસા કરી હતી.
રાહત અને બચાવ કાર્ય દરમિયાન, દુબઈ મરિના સ્ટેશન નંબર 5 અને પામ જુમેરાહ સ્ટેશન નંબર 9 વચ્ચે ટ્રામ સેવાઓ બંધ કરવામાં આવી હતી. દુબઈના રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (RTA) એ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
નવી બસ સર્વિસ થઈ શરૂ
મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે વૈકલ્પિક બસ સેવા શરૂ કરવામાં આવી હતી. આરટીએએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તમામ સલામતી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રામ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. હાલમાં અધિકારીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે અને આગ લાગવાના કારણ અંગેની માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
આગ લાગવાના કારણની ચાલી રહી છે તપાસ
રિપોર્ટ મુજબ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે. આ પહેલી ઘટના નથી જ્યારે મરીના પિનેકલમાં આગ લાગી હોય, 2015 માં પણ રસોડામાં આગ લાગવાથી 47મા અને 48મા માળને અસર થઈ હતી. આગ લાગવાને કારણે દુબઈ ટ્રામ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી અને અસરગ્રસ્ત રહેવાસીઓ માટે કામચલાઉ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક લોકોએ હોટલમાં આશરો લીધો હતો, જ્યારે અન્ય લોકોએ મિત્રો અથવા સંબંધીઓ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.