- શારીરિક તકલીફની સ્થિતમાં પૂરી પડાતી આ સેવા અગાઉ માત્ર રૂ. 16માં હતી
- ગયા વર્ષે 17,905 નાગરિકોએ લાભ લીધો હતો, 2022-23માં 7,659 કોલ હતા
- શારિરિક તકલીફોથી પરેશાન નાગરિકોને નજીવા દરે એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થાય તે જૂરુરી
અમદાવાદમાં બહારથી આવેલા નાગરિકોને શારિરિક તકલીફ હોય અને તે વ્યક્તિને એરપોર્ટ, રેલ્વે સ્ટેશન કે એસટી બસસ્ટેશન ઉતર્યા પછી ઘરે કે હોસ્પિટલ જવું હોય તો ખાનગી વાહન કરવાની જરુર રહેતી નથી. અથવા ઘરેથી હોસ્પિટલ કે હોસ્પિટલથી ઘરે જવું હોય તો પણ ખાનગી એમ્બ્યુલન્સ ભાડે કરવાની જરુર રહેતી નથી. કારણે શારિરિક તકલીફવાળા નાગરિકોને ઘર કે હોસ્પિટલ સુધી લાવવા લઇ જવા માટે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા એક કલાકના રુપિયા 50ના દરે એમ્બ્યુલન્સની સર્વિસ પૂરી પાડવામા આવે છે. વર્ષ 2023-24માં આ સર્વિસ હેઠળ વર્ષ 2023-24માં 17,905 નાગરિકોએ કોલ કર્યા હતાં.જ્યારે વર્ષ 2022-23માં 7,659 કોલ કરીને સેવાનો લાભ લીધો હતો.
અમદાવાદ ફાયર વિભાગ અધિકારી મીથુન મિસ્ત્રીએ કહ્યું કે, શારિરિક સમસ્યા હોય તેવા નાગરિકોના પરિવારજનો જાહેર ટ્રન્સ્પોર્ટેશનના માધ્યમથી અમદાવાદ આવી જાય છે. પછી ઘરે કે હોસ્પિટલ પહોંચવા ખાનગી વાહનો ભાડે રાખવા દોડાદોડી કરે છે. કેટલાકની સ્થિતી નહીં હોવા છતાં આર્થિક ખર્ચ કરવો પડે છે. પરંતુ આવી સ્થિતીમાં અમદાવાદ ફાયર વિભાગ દ્વારા એમ્બ્યુલન્સની સેવા પૂરી પડાય છે. જેનો ચાર્જ એક કલાકના રુપિયા 50 હોય છે. આ સિવાય કોઇ નાગરિકને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે જવું હોય તો પણ એક કલાકના રુપિયા 50 પ્રમાણે આ સર્વિસ પૂરી પડાય છે. ફાયર વિભાગ દ્વારા વર્ષ 2014-15માં માત્ર રુપિયા 16માં આ સેવા પૂરી પડાતી હતી. આ પછી દરમાં સામાન્ય વધારો કરીને રુપિયા 50માં કરવામાં આવ્યા હતાં. શારિરિક તકલીફોથી પરેશાન નાગરિકોને નજીવા દરે એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થાય તે જૂરુરી છે. ફાયરની આ સેવા માટે છેલ્લા બે વર્ષની આંકડાકિય માહિતી જોઇએ તો વર્ષ 2022-23ની તુલનામાં વર્ષ 2023-24માં 10,246 વધુ લોકોએ કોલ કરીને સેવાનો લાભ લીધો છે.


