- પન્નુ અને તેનો સહયોગી ઈન્દ્રજીત સિંહ ગોસલ ભારતમાં લિસ્ટેડ આતંકી
- ગુરપતવંત સિંહ પન્નુ અનેકવાર આપી ચૂક્યો છે ભારત વિરોધી નિવેદનો
- ઘટના અંગે પન્નુએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, ‘ડ્રાઈવ-બાય શૂટિંગ’
કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના સહયોગી ઈન્દ્રજીત સિંહ ગોસલના ઘરે ફાયરિંગ થયાની માહિતી મળી છે. પોલીસે સોમવારે 12 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે ઓન્ટારિયોમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના એક સહયોગીના ઘરે ગોળીબાર કરવામાં આવ્યો હતો. કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સના તાજેતરના આક્ષેપો પછી આ ઘટના પ્રકાશમાં આવી છે.
ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી: પોલીસ
જણાવી દઈએ કે, બંને દેશોએ તાજેતરમાં ભારતમાં આતંકવાદી તરીકે સૂચિબદ્ધ વ્યક્તિઓની ટાર્ગેટેડ કિલિંગ અંગે વાત કરી હતી. પોલીસકર્મી ટાયલર બેલ-મોરેનાએ જણાવ્યું હતું કે પોલીસને ઓન્ટારિયો પ્રાંતમાં ઈન્દરજીત સિંહ ગોસલના ઘરની બારીમાં બુલેટનો છિદ્ર મળ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી કારણ કે ઘરનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેના કારણે હાલમાં મકાન ખાલી છે.
પોલીસ તપાસ ચાલુ
બેલ-મોરેનાએ મીડિયાને જણાવ્યું કે, “અમે જાણીએ છીએ કે આ વ્યક્તિ કોણ છે અને તે કોની સાથે સંકળાયેલો છે, પરંતુ, અમારા માટે એ અનુમાન લગાવવું ઉતાવળિયું હશે કે આ ઘટનાને અન્ય હિંસા કે ધમકીઓ સાથે કોઈ લેવાદેવા છે કે કેમ” અમે સ્પષ્ટ રૂપે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ.”
કોણ છે ઈન્દ્રજીત સિંહ ગોસલ?
ગોસલ શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની નજીકનો હોવાનું માનવામાં આવે છે, જેમની પાસે યુએસ નાગરિકતા છે. અલગ શીખ રાજ્યની માંગ માટે ગોસલને ભારતમાં આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે પન્નુએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, ‘ડ્રાઈવ-બાય શૂટિંગ’.
છેલ્લા કેટલાંક મહિનાઓથી ભારત કેનેડાના સંબંધોમાં તણાવ
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બર મહિનામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રુડોએ તેમના આરોપો જાહેર કરતાની સાથે જ ઓટાવા અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ. આ કારણે ભારતે કેનેડિયનો પર થોડા સમય માટે વિઝા પ્રતિબંધ લગાવી દીધો હતો અને કેનેડિયન રાજદ્વારીઓને પણ પાછા મોકલવામાં આવ્યા હતા.


