- દિલ્હીમાં 1 JN.1 અને 2 ઓમિક્રોનના કેસ મળ્યા
- દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,093 થઈ
- 24 કલાકમાં કોરોનાને કારણે 3 લોકોના મોત
કોરોના JN.1 ના નવા વેરિયન્ટના કેસો સતત વધી રહ્યા છે. હવે આ વેરિયન્ટની દિલ્હીમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. દેશની રાજધાનીમાં નવા વેરિયન્ટનો પહેલો કેસ સામે આવ્યો છે. માહિતી અનુસાર, જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા કોરોનાના 3 સેમ્પલમાંથી JN.1નું એક નવું અને ઓમિક્રોનનું બે વેરિયન્ટ મળી આવ્યા છે. આ સાથે, દેશભરમાં અત્યાર સુધીમાં નવા વેરિઅન્ટના 110 કેસ નોંધાયા છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું છે કે દિલ્હીમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ JN.1નો પહેલો કેસ સામે આવ્યો છે. જીનોમ સિક્વન્સિંગ માટે 3 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એક JN.1 અને બે ઓમીક્રોન કેસ મળી આવ્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા છે. હવે દેશભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 4,093 થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા મંત્રાલયના ડેટા અનુસાર, 24 કલાકમાં ત્રણ કોરોના દર્દીઓના મોત થયા છે. જેમાં 2 દર્દી કર્ણાટકના અને 1 દર્દી ગુજરાતનો છે. દરમિયાન, કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN.1 ના 40 નવા કેસ નોંધાયા હતા. સાંજે દિલ્હીમાં પણ એક કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે 26 ડિસેમ્બર સુધીમાં દેશભરમાં નવા વેરિઅન્ટ કેસની સંખ્યા વધીને 110 થઈ ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 36 કેસ, કર્ણાટકમાં 34 અને ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન અને તમિલનાડુમાં 4-4, તેલંગાણામાં 2 અને દિલ્હીમાં 1 કેસ નવા વેરિયન્ટના નોંધાયા છે.


