- તેલ અવીવમાંથી ભારતીયોને પાછા લાવવામાં આવશે
- ભારતની ચાટર્ડ ફ્લાઈટ 200થી વધુ ભારતીયોને લાવશે
- પ્રથમ ટ્રિપ બાદ બીજી ટ્રિપનો સમય નક્કી કરાશે
ભારતે પોતાના નાગરિકોને ઈઝરાયેલથી ભારતમાં સુરક્ષિત લાવવા માટે ઑપરેશન અજય શરૂ કરી દીધું છે. જે અંતર્ગત પ્રથમ ચાર્ટર ફ્લાઈટ ગુરૂવારે સાંજે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ શહેરમાં પહોંચશે. પહેલી ટ્રિપમાં કુલ 230 ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ આ અંગેની વિગતવાર જાણકારી આપી હતી. તારીખ 11 ઑક્ટોબરના રોજ ઑપરેશન અજયનું એલાન કરવામાં આવ્યું હતું. વિદેશમંત્રી જયશંકરે સમગ્ર પ્લાન અંગે છણાવટ કરી હતી.
ઈઝરાયેલ પર સતત વૉચ
તેલ અવીવ શહેર સુધી ફ્લાઈટ પહોંચ્યા બાદ પણ ઈઝરાયેલની સ્થિતિ પર સતત વૉચ રાખવામાં આવશે. તારીખ 13 ઑક્ટોબરના રોજ આ ફ્લાઈટ ભારતીયોને લઈને પરત આવશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલમાં અમે ઈઝરાયેલના તમામ પગલાં પર નજર રાખી રહ્યા છીએ. ત્યાં જે ભારતીયો છે એને કોઈ જ પ્રકારની ઈજા થઈ નથી. અત્યારે ત્યાં 18000 જેટલા ભારતીયો છે. ઘણા વિસ્તારોમાં ઘર્ષણ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આ એક મોટો પડકાર છે. ભારતીયોને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ આ મિશન સંબંધી કેટલીક ગાઈડલાઈન્સને ફોલો કરે.
દરેક રીપોર્ટ મોદીને જશે
વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલની સ્થિતિ જોઈને આ ઑપરેશન લૉંચ કર્યું હતું. એ પહેલા તેમણે ઈઝરાયેલના વડા બેંજામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી હતી. એ પછી આ નિર્ણય લેવાયો છે. ઈઝરાયેલમાં રહેલા ભારતીય દૂતાવાસે સ્થિતિને ધ્યાને લઈને એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દીધો છે. કંટ્રોલરૂમમાંથી સતત વણસતી જતી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર ઑપરેશન શરૂ થાય એ પહેલા વિદેશમંત્રી જયશંકરે સમગ્ર સ્થિતિની ચર્ચા કરી હતી. એ પછી સ્થિતિની સમીક્ષા કરીને આખું ઑપરેશન નક્કી કર્યું હતું. જેના રીપોર્ટ વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યા હતા.