- બટાકાના બિયારણમાં ખામીથી પાકનો ઉછેર જ ન થયો
- વાવેતરમાં ખેડ મારી ખેડૂતોએ પાક ઉખેડી નાખ્યો
- માત્ર 20 થી 25 ટકા જ ઉછેર થતાં વાવેતર પર ટ્રેકટર ફેરવી દેવાની ફરજ પડી
મોડાસા તાલુકાના હફસાબાદ ગામના પાંચ ખેડૂતોએ 15 વીઘામાં બટાકાનું વાવેતર કર્યુ હતુ. પરંતુ એક મહિના બાદ બિયારણમાં ખામી નીકળતાં પાકનો ઉછેર થયો ન હતો. પરિણામ વાવેતર ઉપર ટ્રેકટરો ફેરવી દેવાની ફરજ પડી હતી અને વાવેતર ઉપર ખેડ મારી દઈ ઉખેડી નાંખવો પડયો હતો. ખેડૂતોએ બિયારણ નકલી હોવાના આક્ષેપો કરી જણાવ્યુ હતુ કે, વાવેતર કર્યાના એક મહિના બાદ પાકનો ઉછેર ન થતાં હવે નવેસરથી વાવેતર કરવાની ફરજ પડી છે. બિયારણમાં ખામી હોવાથી ખેડૂતો છેતરાતાં બિયારણ કંપની સામે રોષ ભભૂકી ઉઠયો છે.
મોડાસા તાલુકાના હફસાબાદ ગામના પાંચ જેટલા ખેડૂતોએ 15 વીઘા જમીનમાં બટાકાનું વાવેતર કર્યુ હતું. વાવેતર માટે 1425 રૂ.ના ભાવે બટાકાના બિયારણના કટ્ટાં ખરીદવામાં આવ્યા હતા.
ખેડ,બિયારણ,ખાતર,મજૂરી સહિત વીઘા દીઠ 50 હજાર જેટલો ખર્ચ કરી ખેડૂતોએ એક મહિના અગાઉ વાવેતર કર્યુ હતુ અને ઉછેર થવાની રાહ જોવાઈ રહી હતી. જો કે એક મહિના બાદ પણ ખેતરોમાં માત્ર 20 ટકા જ વાવેતરમાં ઉછેર આવ્યો હતો. જેના કારણે ખેડૂતો છેતરાયા હતા અને વાવેતર ઉપર ટ્રેકટરો ફેરવી દઈ પાક ઉખેડી નાખવાની ફરજ પડી હતી. આ અંગે ખેડૂતો દિપકભાઈ પટેલ અને જયંતિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, એક મહિના અગાઉ એક કંપનીનું બિયારણ લાવી વાવેતર કરવામાં આવ્યુ હતુ. જો કે, કેટલીક જગ્યાએ માત્ર 20થી 25 ટકા જ ઉછેર થયો હતો. વાવેતર કરાયેલ બિયારણમાં ફૂગ લાગી જવા ઉપરાંત કેટલાક બટાકા કોરા રહ્યા છે અને ઉગ્યા જ નથી. પરિણામે વાવેતર ઉપર ટ્રેકટરો ફેરવી દેવામાં આવ્યા છે અને હવે નવેસરથી વાવેતર કરવાની ફરજ ઉભી થઈ છે. ખેડૂતોને વીઘા દીઠ 50 હજાર જેટલો ખર્ચ માથે પડયો છે અને હવે ફરીથી નવેસરથી બિયારણ લાવી બટાકાનું વાવેતર કરવાની નોબત આવતાં બિયારણ કંપની સામે રોષ ઉભો થયો છે. આ અંગે ખેડૂતોએ બિયારણ કંપની સાથે પણ વાતચીત કરી છે અને ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.


