વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો છે. આ દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ રિષભ પંતને બેટિંગ અંગે સલાહ આપી છે. તેને કહ્યું છે કે જો પંત 40-50 બોલ રમશે તો તે મેચનો રસ્તો બદલી શકે છે.
પંત વિશે આ વાત કહી
મીડિયા સાથે વાત કરતા રૈનાએ કહ્યું કે, પંતની કીપિંગમાં સુધારો થયો છે. તેને ODI ક્રિકેટમાં વધુ જવાબદારી લેવાની જરૂર છે. પંત માટે આ એક સારી તક છે. જો યશસ્વી ટોપ ઓર્ડરમાં નહીં રમે તો તેની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની જશે. ત્યારબાદ તે નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળશે. જો તે 40-50 બોલ રમી શકે છે, તો તે મેચ પૂરી કરી શકે છે.
તેને આગળ કહ્યું કે “પંતે પોતાને ખાતરી કરાવવી પડશે કે જો હું 50 બોલ રમીશ તો હું સરળતાથી 80-100 રન બનાવી શકું છું. એટલા માટે મારે ક્રીઝ પર વધુ સમય વિતાવવો પડશે. તેની પાસે ટેલેન્ટ છે. તે ભારતીય ટીમ માટે એક્સ-ફેક્ટર બનવાનો છે. પંતે 31 મેચમાં 33.5 ની એવરેજથી 871 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમનો સર્વોચ્ચ સ્કોર ઈંગ્લેન્ડ સામે અણનમ 125 રનનો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શકે છે ભારત
ટીમ ઈન્ડિયાએ 2013માં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની મદદથી જીત મેળવી હતી. તો જ્યારે પૂછવામાં આવ્યું કે શું કોહલી, રોહિત અને જાડેજા આવતા મહિને દુબઈમાં 2013 ની જીતનું પુનરાવર્તન કરી શકશે, ત્યારે રૈનાએ હામાં જવાબ આપ્યો.
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમશે. આ પછી ટીમનો બીજો મુકાબલો 23 ફેબ્રુઆરીએ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. જ્યારે, ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમાશે.


