- ભાજપે મોટી જવાબદારી સોંપી
- પૂર્ણેશ મોદીને દીવ-દમણના પ્રભારી તરીકે નિમણૂંક
- તત્કાળ પ્રભાવથી નિયુક્તિને લાગુ કરવામાં આવી
આવતા વર્ષે એટલે કે, 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ પાર્ટીઓએ અત્યારથી જ પોતપોતાની ગોઠવણ કરવાનું શરૂ કરી દીધું છે. નેતાઓને મોટી મોટી જવાબદારીઓ અપાઈ રહી છે. ગુજરાતમાં પણ ભાજપે આ ચૂંટણીઓને લઈને ગંજીફો ચીપ્યો છે. ત્યારે આજે ભાજપ દ્વારા સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગરહવેલીના સંગઠનમાં નવા પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે. આ હવાલો પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પૂર્ણેશ મોદીને સોંપાયો છે.
મહત્વનું છે કે પૂર્ણેશ મોદીએ અગાઉની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. જો કે પછી તેમની પાસેથી મંત્રી વિભાગ પરત લઈ લેવામાં આવ્યા હતા. હાલ તેઓ ગુજરાત સરકારમાં એક ધારાસભ્ય છે. પરંતુ હવે તેમને ભાજપના સેન્ટ્રલ હાઈકમાન્ડ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સરકારના માજી મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પુર્ણેશ મોદીને પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ સહ પ્રભારી તરીકે ભરૂચના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણુંક કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા આ મોટી જવાબદારી છે. જો કે, પુર્ણેશ મોદી અને દુષ્યંત પટેલની પ્રભારી તરીકેની નિમણુંકને લઈને અનેક તર્કવિતર્ક પણ શરુ થયા છે. ભાજપની પ્રેસ રિલીઝ પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આ નિમણૂંક કરી હોવાનું સામે આવ્યું છે.
કાર્યકરોમાં નવાઈ
આ નિમણૂંકના કારણે ભાજપના અમુક કાર્યકરોને પણ નવાઈ લાગી છે કેમ કે, અત્યાર સુધી મોટાભાગે કેન્દ્ર સાથે સંકળાયેલા નેતાઓની દમણ-દીવ દાદરા નગરહવેલીના પ્રભારી તરીકે નિમણૂક કરાતી હતી. જોકે, આ વખતે દક્ષિણ ગુજરાતના નેતાની સીધી નિમણૂંક થતા ભાજપના કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા છે. જો કે ભાજપની નેતાગીરી સરપ્રાઈઝ ભરેલા નિર્ણયો લેવા માટે જાણીતી છે.
કોણ છે પૂર્ણેશ મોદી?
તમને જણાવી દઈએ કે, પૂર્ણેશ મોદી રાહુલ ગાંધી સામે કેસ કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે મોદી સરનેમ મામલે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો જેના કારણે રાહુલ ગાંધીને સજા થઈ અને ત્યાર બાદ તેમનું સંસદ સભ્ય પદ ગયું. જો કે, કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીને ફરી રાહુલને સભ્ય પદ મળી ગયુ છે. પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે. તેમની પાસે બી.કોમ અને એલએલબીની ડિગ્રીછે અને વ્યવસાયે તેઓ વકીલ છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારના પૂર્વ મંત્રી
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, તેઓ પહેલીવાર 2013માં વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા. સ્થાનિક ધારાસભ્ય કિશોર વાંકાવાલાના અવસાન બાદ તેમને બીજેપીએ ટિકિટ આપી હતી. તો બીજી તરફ ઓગસ્ટ 2022માં તેમનું ખાતું છીનવી લેવામાં આવ્યું. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતી ગયા. જો કે બીજી વાર તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી.


