રૂ.૭.૨૬ કરોડના ખર્ચે કવાટર્સનું રિનોવેશન અને સ્ટાફની રાજકોટ બદલી
ગ્રામજનોએ રેલવે સ્ટેશન પર ધરણાં યોજી રેલવે તંત્ર સામે બાંયો ચઢાવી
અગ્ર ગુજરાત, જેતપુર
સમગ્ર ગુજરાતમાં એકમાત્ર અને ભારતમાં ગણતરીના આઠ ફોર-વે રેલવે જંકશનમાં સ્થાન ધરાવતા ઐતિહાસિક જેતલસર જંકશનના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રાતોરાત જેતલસરથી લોકો પાયલટ અને ગાર્ડ સહિતના 70 જેટલા કર્મચારીઓની રાજકોટ ખાતે બદલી કરી દેવાતા જેતલસરમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આ તઘલખી નિર્ણયના વિરોધમાં ‘જેતલસર જંકશન બચાવો સમિતિ’ના નેજા હેઠળ સરપંચ, વેપારીઓ અને ગ્રામજનોએ રેલવે સ્ટેશન પર ધરણા યોજી તંત્ર સામે બાયો ચડાવી હતી.
જેતપુર નજીકનું જેતલસર જંકશન વેસ્ટર્ન રેલવેનું મહત્વનું અંગ ગણાય છે. મીટરગેજના જમાનામાં અહીં 2000નો સ્ટાફ અને 18 રેલવે લાઈનો ધમધમતી હતી. પરંતુ વિકાસના નામે અહીં એક પછી એક વિભાગો બંધ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રેલવે પ્રશાસને અહીંથી લોકો લોબી હટાવી લીધી છે અને 70 કર્મચારીઓને રાજકોટ ભેગા કરી દીધા છે. આ નિર્ણયથી જેતલસર ગામના અર્થતંત્રને મરણતોલ ફટકો પડ્યો છે. અંદાજે 70 પરિવાર એટલે કે 800થી 900 લોકોની હિજરત થવાથી ગામના વેપાર-ધંધા ભાંગી પડવાની અને ગામ ઉજ્જડ બની જવાની ભીતિ સેવાઈ રહી છે.
ભાડા ભથ્થામાં લાખોનું નુકસાન, રિનોવેશનનો ખર્ચ પાણીમાં!
ગ્રામજનોએ રેલવેના નિર્ણયને અતાર્કિક ગણાવતા આંકડાકીય માહિતી આપી હતી કે, જેતલસરમાં કર્મચારીઓને 9 ટકા HRA ચૂકવવું પડે છે, જ્યારે રાજકોટમાં આ દર 16 ટકા છે. આમ, કર્મચારીઓને ખસેડવાથી રેલવે પર દર મહિને 7 લાખ 26 હજાર રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ આવશે. બીજી તરફ જેતલસરમાં 7.26 કરોડના જંગી ખર્ચે રેલવે ક્વાર્ટર્સનું રિનોવેશન ચાલી રહ્યું છે. જો સ્ટાફ જ નહીં રહે, તો આ કરોડોનો ખર્ચ કોના માટે? આ પ્રશ્ન તંત્રની કાર્યશૈલી સામે શંકા ઉપજાવે છે.


