- ઈઝરાયેલના હુમલામાં ગાઝા પટ્ટીમાંહજારો લોકોના મોત
- ગાઝામાં યુદ્ધવિરામની માંગ દુનિયાભરમાંથી ઉઠી
- PM બેન્જામિન નેતન્યાહુએ હમાસને આપ્યો જડબાતોડ જવાબ
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે ગાઝામાં યુદ્ધવિરામની માંગ દુનિયાભરમાંથી ઉઠવા લાગી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ ગાઝામાં યુદ્ધવિરામની અપીલ કરી છે. જો કે, ઇઝરાયેલ સરકાર રોકવાના મૂડમાં નથી. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય.
PM બેન્જામિન નેતન્યાહુનો જડબાતોડ જવાબ
હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિની યુદ્ધવિરામની અપીલ પર નેતન્યાહુએ કહ્યું છે કે ‘વિશ્વના નેતાઓએ હમાસની ટીકા કરવી જોઈએ, ઈઝરાયેલની નહીં. હમાસે આજે ઇઝરાયેલ સાથે જે કર્યું તે આવતીકાલે પેરિસ, ન્યુયોર્ક અથવા વિશ્વમાં ક્યાંય પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામની અપીલ કરી હતી. જો કે તેણે ઈઝરાયેલના પોતાના બચાવના અધિકારનો પણ બચાવ કર્યો હતો. તે જ સમયે, ગાઝાની અલ શિફા હોસ્પિટલ પરના હુમલા પછી, ઇઝરાયેલી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલો હમાસની ભૂલને કારણે થયો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હમાસે ઇઝરાયલી સૈનિકોને નિશાન બનાવીને રોકેટ હુમલો કર્યો હતો પરંતુ રોકેટ લોન્ચ નિષ્ફળ રહ્યું હતું અને રોકેટ હોસ્પિટલ પર પડ્યું હતું, જેમાં 22 લોકોના મોત થયા હતા.
ગાઝાના લોકોને ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે હમાસ
ઈઝરાયલના PMએ શુક્રવારે કહ્યું કે તેમનો દેશ ગાઝાના નાગરિકોને બચાવવા માટે બધું જ કરી રહ્યો છે પરંતુ હમાસ લોકોને સુરક્ષિત સ્થાનો પર જવા દેતું નથી. નેતન્યાહુએ કહ્યું કે હમાસ લોકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. અમેરિકાએ પણ ગાઝામાં માર્યા ગયેલા લોકો પર દુખ વ્યક્ત કર્યું છે પરંતુ કહ્યું છે કે તે ઈઝરાયેલને સમર્થન આપવાનું ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે ગાઝા પટ્ટીમાં જમીની લડાઈ ચાલી રહી છે.


