– કરચોરી વસૂલાતનો વર્તમાન નાણાં વર્ષનો આંક અત્યારસુધીનો સૌથી મોટો આંકડો હોવાની ગણતરી
Updated: Oct 26th, 2023
મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ની થયેલી કરચોરીમાંથી વર્તમાન નાણાં વર્ષમાં રૂપિયા ૫૦,૦૦૦ કરોડની વસૂલી થવા સરકાર અપેક્ષા રાખે છે. ગયા નાણાં વર્ષની સરખામણીએ આઆંક બમણાથી વધુ છે એટલું જ નહીં કોઈ એક વર્ષમાં અત્યારસુધીની સૌથી મોટી રિકવરી હશે એમ જીએસટી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષમાં જીએસટી સત્તાવાળાએ રૂપિયા ૧.૩૬ ટ્રિલિયનની કરચોરી પકડી પાડી છે. આમાંથી રૂપિયા ૧૪૧૦૮ કરોડ વસૂલી લેવાયા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ગયા નાણાં વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩માં કુલ રૂપિયા ૧.૦૧ ટ્રિલિયનની કરચોરી પકડી પડાઈ હતી જેમાંથી રૂપિયા ૨૧૦૦૦ કરોડ વસૂલાયા હતા.
વીમા કંપનીઓ દ્વારા ઈનપુટ ટેકસ ક્રેડિટના ભૂલભરેલા દાવા, તમાકુ પ્રોડકટસના છૂપી રીતે કરાયેલા ક્લિએરન્સ તથા સ્થાઈ મિલકતના સોદા પર નહીં ચૂકવાયેલા નોંધપાત્ર જીએસટી વસૂલાવાની શકયતા છે.
ઓછો ટેકસ ભરવા કરદાતાઓ માલસામાન તથા સેવાનું અન્ડરઈન્વોઈસિંગ, ખોટી રીતે મુક્તિ પ્રમાણપત્ર મેળવવા, ખોટી ઈનપુટ ટેકસ ક્રેડિટ વગેરે જેવી ચાલાકી કરતા હોવાનું સત્તાવાળાના ધ્યાનમાં આવ્યું છે.
કરચોરી પકડી પાડવા સરકારે ફરજપાલન માટે લાગુ કરેલી યંત્રણા તથા જીએસટીમાં ચોરી થતી અટકવવા કાયદામાં સુધારા જેવા પગલાં હાથ ધરતા વધુને વધુ વસૂલી નીકળી રહી છે.
આ ઉપરાંત કેન્દ્ર તથા રાજ્યના જીએસટી વિભાગ દ્વારા હાથ ધરાયેલી ખાસ તપાસ ઝૂંબેશને કારણે પણ કરચોરી પકડી પાડવામાં સફળતા મળી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
જીએસટી વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, જુલાઈ ૨૦૧૭થી ફેબુ્રઆરી ૨૦૨૩ના ગાળામાં કુલ રૂપિયા ૩.૦૮ ટ્રિલિયનની કરચોરી પકડી પડાઈ છે જેમાંથી રૂપિયા ૧.૦૩ ટ્રિલિયન વસૂલાયા છે. એપ્રિલ ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન ઈનપુટ ટેકસ ક્રેડિટના ૬૦૦૦થી વધુ બનાવટી કેસ પકડાયા હતા.


