- 2014-2021 દરમિયાન કોંગ્રેસમાંથી કુલ 399 નાના-મોટા નેતાઓએ પાર્ટી બદલી
- પક્ષપલટો કરનારા 35 ટકા ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા
- લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે
લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. હવે મધ્યપ્રદેશમાંથી દિગ્ગજ નેતા કમલનાથ ભાજપમાં જોડાવાની અટકળો છે. કોંગ્રેસ જ્યારથી કેન્દ્રીય સત્તામાંથી બહાર છે ત્યારથી તેના ઘણા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી બે મોટા નેતા મિલિંદ દેવડા અને અશોક ચવ્હાણે પાર્ટીને અલવિદા કહ્યું હતું. ચાલો, જાણીએ; 2014 પછી કયા કોંગ્રેસી નેતાઓએ પાર્ટી છોડી અને 2019 બાદ પાર્ટીની સ્થિતિ કેવી થઈ છે; 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કયા નેતાઓએ પાર્ટીનો હાથ છોડયો?
2021માં એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મનો રિપોર્ટ જાહેર થયો જેને 1,133 ચૂંટણી ઉમેદવારો અને 500 સાંસદો તથા ધારાસભ્યોના સોગંદનામાના આધારે બનાવાયો હતો. આ એવા નેતા હતા જેમણે 2014 બાદ લોકસભા, વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટી બદલી હતી. રિપોર્ટ અનુસાર, 2014 બાદ કોંગ્રેસના નેતાઓએ સૌથી વધુ પક્ષપલટા કર્યા છે. રિપોર્ટમાં કહેવાયું હતું કે કુલ પક્ષપલટામાંથી લગભગ 35 ટકા ધારાસભ્ય અને સાંસદ 2014-2021 વચ્ચે કોંગ્રેસમાંથી છૂટા પડયા. પક્ષપલટો કરનારા લગભગ 35 ટકા ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા હતા. કોંગ્રેસના 20 ટકા ચૂંટણી ઉમેદવારોએ પાર્ટી છોડી હતી. રિપોર્ટમાં કહેવાયું હતું કે 2014-2021 દરમિયાન કોંગ્રેસ પાર્ટીમાંથી કુલ 399 નેતાઓએ પાર્ટી બદલી હતી.
કયા મોટા નેતાઓએ પાટલી બદલી?
2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ ઘણા નાના નાના નેતાઓ ઉપરાંત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓએ પણ પાર્ટીને અલવિદા કહ્યું હતું. જોકે, 2019માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ બીજી વાર સત્તા પર આવ્યો ત્યારે કોંગ્રેસની સ્થિતિ વધુ ખરાબ થઈ. એક એક કરીને તેના ઘણા દિગ્ગજ નેતાઓ અને ઊભરતા ચહેરાઓએ પાર્ટી છોડી દીધી.
અલ્પેશ ઠાકોર
કોંગ્રેસમાં ધારાસભ્ય રહેલા અલ્પેશ ઠાકોરે જુલાઈ 2019માં રાજ્યસભાની પેટાચૂંટણીમાં પાર્ટી ઉમેદવારની સામે મતદાન કર્યા બાદ પાર્ટી છોડી દીધી હતી. થોડા દિવસો બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને તેમને રાધનપુરથી પેટાચૂંટણીના મેદાનમાં ઉતારાયા. જોકે, તેઓ ચૂંટણી હારી ગયા. 2022માં થયેલી ચૂંટણીમાં તેમણે ગાંધીનગર દક્ષિણની બેઠક પર જીત મેળવી હતી.
જ્યોતિરાદિત્ય સિંધિયા
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ માર્ચ 2020માં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં જોડાયા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશમાં સિંધિયાના સમર્થક ઘણા ધારાસભ્યોએ પાટલી બદલી હતી, જેનાથી કમલનાથની સરકાર પડી હતી. રાજીનામું આપ્યા પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને પછી ભાજપમાં જોડાઈ ગયા હતા. સિંધિયા અત્યારે નરેન્દ્ર મોદી કેબિનેટમાં નાગરિક ઉડ્ડયન મંત્રી છે.
જિતિન પ્રસાદ
જિતિન પ્રસાદ રાહુલ ગાંધીના ખૂબ નિકટના સાથી ગણાતા હતા. તેમણે જૂન 2021માં કોંગ્રેસ છોડી દીધી હતી. ત્યાર બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા. તે સમયે તેઓ યુપીમાં કોંગ્રેસનો ટોચનો બ્રાહ્મણ ચહેરો હતા. અત્યારે તેઓ યોગી સરકારમાં મંત્રી છે.
સુષ્મિતા દેવ
ઓગસ્ટ 2021માં મહિલા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સુષ્મિતા દેવે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં હતાં. સપ્ટેમ્બર 2021માં ટીએમસીએ તેમને રાજ્યસભામાં મોકલ્યાં અને 2023 સુધી તેઓ સાંસદ રહ્યાં. હાલ તેઓ તૃણમૂલ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા છે. સુષ્મિતાને ટીએમસી ફરીથી રાજ્યસભામાં મોકલી રહી છે.
આરપીએન સિંહ
પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ જાન્યુઆરી 2022માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમણે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માથા પર હતી ત્યારે જ પાર્ટીનો સાથ છોડયો હતો. ભાજપે તાજેતરમાં જ તેમને રાજ્યસભા ચૂંટણી માટે યુપીના પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
અશ્વિની કુમાર
પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમારે પંજાબ વિધાનસભા ચૂંટણીના થોડા દિવસ પહેલાં ફેબ્રુઆરી 2022માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. અશ્વિનીકુમાર યુપીએ સરકાર દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી રહી ચૂક્યા છે. તેમણે ઘણાં વર્ષો સુધી કોંગ્રેસ માટે કામ કર્યા બાદ તેને અલવિદા કહ્યું.
સુનીલ જાખડ
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સુનીલ જાખડે મે 2022માં પાર્ટી છોડી દીધી હતી. જાખડે તત્કાલીન મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્નીની ટીકા કરવા બદલ પાર્ટી નેતૃત્વની કારણદર્શક નોટિસ મળ્યા બાદ આ પગલું ભર્યું હતું. બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા. જુલાઈ 2023માં ભાજપે તેમને પંજાબ એકમના પ્રમુખ બનાવી દીધા.
હાર્દિક પટેલ
ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે મે 2022માં કોંગ્રેસ છોડી દીધી. હાર્દિકને 2019માં રાહુલ ગાંધી પાર્ટીમાં લઈ આવ્યા હતા. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
કપિલ સિબ્બલ
કોંગ્રેસના કદાવર નેતા ગણાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ પણ પાર્ટી છોડનારા નેતાઓની સૂચિમાં સામેલ છે. તેમણે મે 2022માં કોંગ્રેસમાં રાજીનામું આપ્યું હતું. બાદમાં તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતીને રાજ્યસભામાં પહોંચ્યા છે.
ગુલામ નબી આઝાદ
કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા ગુલામ નબી આઝાદે ઓગસ્ટ 2022માં પાર્ટીમાં રાજીનામું આપ્યું હતું. બાદમાં તેમણે જમ્મુ-કાશ્મીરમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી નામથી પોતાનો પક્ષ બનાવ્યો.
અનિલ એન્ટની
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ જાન્યુઆરી 2023માં પાર્ટી છોડી દીધી હતી. બાદમાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. હાલ તેઓ ભાજપના રાષ્ટ્રીય સચિવની સાથોસાથ રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.
મિલિંદ દેવડા
14 જાન્યુઆરી 2024એ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવડાએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેઓ શિવસેનામાં જોડાઈ ગયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં તેમણે પાર્ટીનો હાથ ઝાલ્યો હતો. શિવસેનાએ તેમને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવ્યા છે.
અશોક ચવ્હાણ
12 ફેબ્રુઆરી 2024એ મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અશોક ચવ્હાણે પાર્ટીનો સાથ છોડી દીધો. તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું. બીજા દિવસે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે તેમને રાજ્યસભાની ચૂંટણીના પોતાના ઉમેદવાર બનાવી દીધા છે.


