- આગામી 5 દિવસમાં 13 જિલ્લામાં યાત્રા ફરશે
- યાત્રા આદિવાસી વિસ્તારમાં 1 હજાર કિલોમીટર ફરશે
- 3 લાખ જેટલા આદિવાસી પરિવારોને આવરી લેવાશે
આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 18 જાન્યુઆરીથી રાજ્ય સરકાર વન સેતુ ચેતના યાત્રા શરૂ કરશે. જેમાં મુખ્યમંત્રી દ્વારા નવસારીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ યાત્રા ઉમરગામથી અંબાજી સુધી પહોંચતા પૂર્વે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી પસાર થશે.
વન સેતુ ચેતના યાત્રા અંગેની માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર. પાટીલના હસ્તે 18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે.
મુખ્યત્વે આ યાત્રા વલસાડ,નવસારી,ડાંગ, તાપી, સુરત,ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે. તેમજ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે.
આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રિના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિધ્ધ મંદીરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમ્યાન વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર આદીવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિધ્ધીઓનો અહેવાલ, રામમંદીર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી, સરકારી યોજનાઓની સમીક્ષા, એફ.આર.એ ના લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી, રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે


