- લખનઉ યુનિવર્સિટીના સ્પેશિયલ સેશનમાં નિષ્ણાતોએ ગેમિંગના વ્યસન પર પ્રકાશ ફેંક્યો
- નાના-નાના મુદ્દાઓ પર ગુસ્સો આવવો, રોજિંદી પ્રવૃત્તિમાં રસ ગુમાવવો
- ભૂખ અને ઊંઘ ના આવવી ગેમિંગ વ્યસનનાં સામાન્ય લક્ષણો
ગેમિંગનું વ્યસન બાળકોમાં અને પુખ્તોમાં પણ વર્તનમાં પરિવર્તનનું કારણ બને છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. જો તમારું બાળક સામાન્ય બાબતોમાં ગુસ્સે થઇ જતું હોય અથવા દૈનિક પ્રવૃત્તિઓમાંથી રસ ગુમાવી ચૂક્યું હોય અથવા તો ખાવાનું અને ઊંઘવાનું ઓછું થઇ ગયું હોય તો તબીબી એક્સપર્ટનો સંપર્ક કરવાનો સમય આવી ગયો છે તેમ નિષ્ણાતો કહે છે. લખનઉ યુનિવર્સિટીના સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા હેડ ડિજિટલ વર્ક સાથે મળીને યોજવામાં આવેલા એક સ્પેશિયલ સેશનમાં નિષ્ણાતોએ ઓનલાઇન ગેમિંગના વ્યસનને દૂર કરવા માટેની ટિપ્સ અને રિસ્પોન્સિબલ ઓનલાઇન ગેમિંગ પર પ્રકાશ ફેંક્યો હતો.
ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડો. પીકે ખત્રીએ જણાવ્યું હતું કે જો તમારી આસપાસના કોઇ પણ વ્યક્તિમાં જો તમને આ લક્ષણો દેખાતા હોય તો સલાહકાર પાસેથી મદદ મેળવવામાં ખચકાશો નહીં. તેમણે જણાવ્યું હતું કે સૌથી મોટો મુદ્દો એ છે કે લોકો એ બાબતનો સ્વીકાર કરતાં નથી કે તેમને ગેમિંગનું વ્યસન લાગી ગયું છે. અને કદાચ તેઓ સ્વીકારે છે તો પણ તેનો ઇલાજ કરવા માંગતાં નથી.
મનોવૈજ્ઞાનિક આ સમસ્યા હલ કરવામાં મદદ કરી શકે
તેમણે ઉમેર્યું હતું કે વળી લોકો એક મનોવૈજ્ઞાનિક અને એક મનોચિકિત્સક વચ્ચેના તફાવતથી પણ માહિતગાર હોતા નથી. જો કોઇ વ્યક્તિને ગેમિંગની લત લાગી ગઇ હોય તો તેણે પહેલાં એક મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો જોઇએ. કેટલાક કાઉન્સેલિંગ સેશન દ્વારા મનોવૈજ્ઞાનિક આ ઈશ્યૂને હેન્ડલ કરવામાં મદદ કરી શકે છે. જો તેમ ના થાય તો પછી મનોચિકિત્સકનો સંપર્ક સાધવાનો હોય છે.
રેન્ડમ નંબર સર્ટિફિકેટ ધરાવતી ગેમ જ રમવી જોઇએ
વિભાગના વડા રોહિત ચૌહાણે જણાવ્યું હતું કે જવાબદાર ગેમિંગ એ બાબતની ખાતરી કરે છે કે જેમાં રેન્ડમ નંબર સર્ટિફિકેટ હોય તે ઓનલાઇન ગેમ રમવી. જે ગેમ્સ પાસે આવા સર્ટિફિકેટ હોય તેમાં આવતાં પરિણામો ખરેખર રેન્ડમ હોય છે અને તેના પરિણામો ચોક્કસ ખેલાડી અથવા ખેલાડીઓના જૂથ તરફ ઢળેલા હોતા નથી. તેમણે જણાવ્યું હતું કે તેનો અર્થ એ થયો કે તેમાં સામેલ દરેકે દરેક ખેલાડી માટે જીત અથવા હારની સમાન તક રહેલી હોય છે અને તેમાં પરિણામો પહેલેથી જ નક્કી હોતા નથી.


