- દિલ્હીમાં દાવોલ, મિશ્રા બાદ ગુજરાત કેડરના રિટાયર્ડ IFS યથાવત્
- ગુજરાતમાં CMOના મુખ્ય અગ્રસચિવની મુદ્દત 30 જૂને થશે પૂર્ણ તે પહેલા નિર્ણય થશે
- PMOના સેક્રેટરી તરીકે ગુજરાત કેડરના રિટાયર્ડ IAS પી.કે.મિશ્રાને નિયુક્ત કર્યા
રાષ્ટ્રિય માનવ અધિકાર આયોગ – NHRCમાં સેક્રેટરી જનરલ તરીકે ગુજરાત કેડરના રિટાયર્ડ IFS ભરત લાલને ભારત સરકારે વધુ એક વર્ષ માટે મુદ્દત વધારો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મનો કાર્યભાર સંભાળ્યા કેરળ કેડરના રિટાયર્ડ IPS અજીત દાવોલને 79 વર્ષે ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર- NSA તરીકે નિયુક્ત કર્યા હતા.
ત્યારબાદ PMOના સેક્રેટરી તરીકે ગુજરાત કેડરના રિટાયર્ડ IAS પી.કે.મિશ્રાને પણ 76 વર્ષે પુનઃ નિયુક્ત કર્યા છે તે જોતા અહી ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યલાય- CMOમાં મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથનને પણ વધુ એકવાર મુદ્દત વધારો મળી શકે છે. CMOના મુખ્ય અગ્રસચિવ અને વર્ષ 2013માં મુખ્યમંત્રી કાર્યલાયમાંથી જ રિટાયર્ડ થયેલા IAS કે.કૈલાસનાથન 71 વર્ષના છે. આ સપ્તાહના અંતે તેમનું 11મુ એક્સટેન્શન પૂર્ણ થઈ રહ્યુ છે. વયનિવૃતિ બાદ કરાર આધારિત નિયુક્તિઓ એક વર્ષ માટે થાય છે ત્યારે આ વર્ષના આરંભે વધતી ઉંમરને કારણે કૈલાસનાથને પોતાને કાર્યભારમાંથી મુક્ત થવાની ઈચ્છા પ્રગટ કરી હોવાથી તેમને લોકસભા ચૂંટણી સુધી, છ મહિના અર્થાત જૂન- 2024 સુધી એક્સટેન્શન અપાયાની ચર્ચા છે.
હવે જ્યારે દિલ્હીમાં ભારત સરકારમાં એક પછી એક રિટાયર્ડ IAS, IPS અને IFSને એક્સટેન્શન આપવામાં આવી રહ્યુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીને નજીકથી જોઈ રહેલા બ્યુરોક્રેટ્સમાં અહીં ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યલાયમાં બે દાયકાથી વધારે અનુભવ અને રાજ્યની રાજકીય, સરકારી વહિવટીય સ્થિતિ, પડકારોને પાર ઉતારવા જાણિતા કૈલાસનાથનને પણ એક્સટેન્શન મળશે તેવા સંકેતો વહ્યા છે. ઉલ્લેખનિય છે કે, મોદી સરકારે સોમવારે પોતાના ખાસ વિશ્વાસુ IFS ભરત લાલ ઉપરાંત ઈન્ટેલિજન્સ બ્યુરો- IBનાં ડાયરેક્ટર તરીકે રિટાયર્ડ IPS તપન કુમાર ડેકાને પણ વધુ એક વર્ષ માટે એક્સ્ટેન્શન આપ્યુ છે. આ બંને મહત્વની અને સંવેદનશીલ જગ્યાઓ છે. એથી CMOમાં મુખ્ય અગ્રસચિવ તરીકે કૈલાસનાથનને ફરી મુદ્દત વધારો મળી શકે છે.


