- IRS ચંદ્રકાંત વળવી સામે આરોપથી બ્યૂરોક્રેટ્સમાં ખળભળાટ
- મહાબળેશ્વર પાસે આખા ગામની જમની સગા સંબધીઓના નામે ખરીદીઃ સુશાંત મોરે
- પૂર્વે ચંદ્રકાત વળવી ગાંધીનગર સ્થિત CGST પ્રિન્સિપલ કમિશનર હતા
ગુજરાત ખાતે સેન્ટ્રલ GST એકમના કમિશનર ચંદ્રકાંત વળવીએ મહારાષ્ટ્રના મહાબળેશ્વર પાસે આખા ગામની, 620 એકર જમીનો ખરીદ્યાનો આક્ષેપ થયો છે. જેના પગલે IRS કેડર જ નહિ પરંતુ દેશભરના બ્યુરોક્રેટ્સમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ 1993ની બેચના ચંદ્રકાંત વળવી મૂળ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વતની છે. ઓક્ટોબર 2023થી સેન્ટ્રલ કેડરના આ અધિકારી અમદાવાદમાં સેન્ટ્રલ GST અને કસ્ટમ એક્સાઈઝ પ્રિન્સિપલ કમિશનર તરીકે કાર્યરત છે. તે પૂર્વે ચંદ્રકાત વળવી ગાંધીનગર સ્થિત CGST પ્રિન્સિપલ કમિશનર હતા.
લાંબા સમયથી વળવી ગુજરાતમાં છે. આથી તેમના અહીં ગુજરાત કનેક્શનને નકારી શકાય એમ નથી. તેમની સામે પરીવાર અને સગા સંબંધીઓ સાથે મળીને મહાબળેશ્વર પાસે ઝાડણી ગામમાં 620 એકર જમીન ખરીદી લીધાનો આક્ષેપ મહારાષ્ટ્રમાં થયો છે. સામાજિક કાર્યકર્તા સુશાંત મોરે એ સ્થાનિક માધ્યમો સમક્ષ આરોપ અને વહિવટી તંત્રને રજૂઆત કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં CGST કમિશનર રહેતા IRS કેડરના આ ચંદ્રકાંત વળવીએ મહાબળેશ્વરના આંતરિયાળ વિસ્તારોમાં જમીનો ખરીદી છે. આ ક્ષેત્રમાં લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામ ખોદકામ, વૃક્ષોને કાપવા, અનઅધિકૃત રસ્તાઓ બાંધી વીજ પુરવઠો લાવીને પર્યવારણ અને સ્થાનિક જીવસૃષ્ટીને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે. ત્રણેક વર્ષથી આજુબાજુમાં મોટાપાયે ખનન થઈ રહ્યુ છે એમ છતાંયે વહિવટી તંત્ર તરફથી કોઈ જ તપાસ થઈ રહી નહોતી. આથી, તેમણે માધ્યમો સમક્ષ મહાબળેશ્વરના આંતરિયાળ ક્ષેત્રોમાં ચાલતા ગેરકાયદેસર કૃત્યોથી પર્યાવરણ માટે ઉભા થયેલા ગંભીર ખતરા પાછળ જવાબદાર અધિકારી અને તેમના સગા સંબધીઓની સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. મોરેની આ રજૂઆત બાદ સતારા જિલ્લાના કલેક્ટરે તપાસના આદેશ કર્યાનું પણ મહારાષ્ટ્રના સ્થાનિક માધ્યમો મારફતે જાણવા મળ્યુ છે. સામાજિક કાર્યકર્તા સુશાંત મોરે દ્વારા મરાઠી પ્રસાર માધ્યમોમાં થયેલા આક્ષેપો અંગે CGST કમિશનર ચંદ્રકાંત વળવીનો પક્ષ જાણવા અમદાવાદ સ્થિત તેમની કચેરીએ વારંવાર સંપર્ક કરવા છતાંય સંપર્ક થઈ શક્યો નહોતો.


