ગાંધીનગરમાં ઇન્દોરવાળીની અસર! સારવાર લેતા બે બાળકોના કરૂણ મોત નિપજયા
૧૫૦થી વધારે દર્દીઓનો ટાઇફોડનો રિપોર્ટ પોઝીટીવ : આરોગ્ય વિભાગ ધંધે લાગ્યો : મોત મામલે કોંગ્રેસનો હોબાળો
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલ આરોગ્યની સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેના પરિણામે ટાઈફોઈડ કેસમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો જબરદસ્ત ધસારો જોવા મળી રહ્યો છે.
તાજેતરના આંકડા મુજબ, હોસ્પિટલમાં કુલ 152 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 50 દર્દીઓનો રિપોર્ટ Positive (પોઝિટિવ) આવ્યો છે અને તેઓ ટાઈફોઈડગ્રસ્ત હોવાનું જાહેર થયું છે. જ્યારે અન્ય 108 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બે બાળ દર્દીઓની હાલત નાજુક જણાતા તેમને તાત્કાલિક અસરથી ICU (આઈસીયુ) માં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સારવાર બાદ સ્વસ્થ થયેલા 25 દર્દીઓને રજા આપવામાં આવી છે.
આ રોગચાળા દરમિયાન બે બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. જોકે, આ મોત અંગે વિવાદ પણ સર્જાયો છે. વિપક્ષ કોંગ્રેસે દાવો કર્યો છે કે આ મોત ટાઈફોઈડના કારણે થયા છે, પરંતુ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે આ દાવાને ફગાવી દીધો છે. હોસ્પિટલના અધીક્ષકના જણાવ્યા મુજબ, દહેગામના બાળકનું મોત સેપ્ટિક શોકના કારણે અને આદિવાડાના બાળકનું મોત એક્યુટ વાયરલ એન્સેફાલીટીસના કારણે થયું છે, જેનો સીધો સંબંધ ટાઈફોઈડ સાથે નથી. તેમ છતાં, હોસ્પિટલમાં બાળ વિભાગમાં પથારીઓ ખૂટી પડતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એક અલગ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાના અન્ય કેન્દ્રો પરથી બાળરોગ નિષ્ણાતોની ટીમને સિવિલ ખાતે બોલાવવામાં આવી છે.
રોગચાળાનું મુખ્ય કારણ દૂષિત પાણી હોવાનું સામે આવ્યું છે. શહેરના સેક્ટર 24, 25, 26, 27 તેમજ આદિવાડા અને GIDC વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા છે. કોર્પોરેશનની આરોગ્ય ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 20,800 થી વધુ ઘરોનો હેલ્થ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં 90,000 ની વસ્તીને આવરી લેવાઈ છે. તકેદારીના ભાગરૂપે 30,000 ક્લોરિન ટેબલેટ અને 20,600 ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આદિવાડા વિસ્તારમાં જ્યાં પાણીની સમસ્યા વિકટ છે, ત્યાં મહાપાલિકા દ્વારા ટેન્કરો મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને લીકેજ શોધવાની કામગીરી પણ ચાલુ છે.
તંત્ર માટે ચિંતાનો વિષય એ છે કે 4 જાન્યુઆરી સુધીમાં માત્ર બે દિવસમાં જ 119 જેટલા કેસ નોંધાયા હતા. હાલમાં 94 દર્દીઓ સારવાર હેઠળ છે. નિષ્ણાતોના મતે, ટાઈફોઈડના ઈન્ક્યુબેશન પિરિયડને જોતા આગામી 20 જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350 ને પાર પહોંચી શકે તેવી દહેશત છે. આ સ્થિતિમાં નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખોરાક ટાળવા માટે અપીલ કરવામાં આવી છે.


