- ચાર ચાર SIT દ્વારા રાજકોટ અગ્નિકાંડમાં તપાસ છતાંયે હરણી, મોરબી અને તક્ષશિલા જેવો ઘાટ
- 27 નિર્દોષને જીવતા ભૂંજનારા અગ્નિકાંડને સાગઠિયાના મહોરાથી ભૂલાવવાનું કારસ્તાન
- તોડકાંડવાળા મનોજ અગ્રવાલના કાર્યકાળમાં જ TRP ગેમિંગ ઝોનને પહેલી મંજૂરી અપાઈ
27 નિર્દોષ નાગરિકોને જીવતા ભૂંજી દેનારા રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડને બાવન (52) દિવસો થયા છે. આ માનવસર્જિત જઘન્ય અપરાધના મુળ સુધી પહોંચવા IPS સુભાષ ત્રિવેદીના અધ્યક્ષપદે પહેલી,રાજકોટ પોલીસમાં ACP ભરત બસીયાની બીજી, IPS બિપીન આહિરેના અધ્યક્ષપદે ત્રીજી અને અફસરાનની જવાબદારીને નક્કી કરવા ત્રણ IASની ચોથી એમ ચાર- ચાર SIT, સત્ય શોધક કમિટીની તપાસ પછી ખરેખર અપરાધી કોણ ?
એ પ્રશ્ન તો 25મી મે, શનિવારની સાંજે જ્યાં હતો ત્યાં જ છે ! ઉલ્ટાનું આ બાવન દિવસમાં TRP ગેમિંગ ઝોનને જેમના આધિપત્ય વ અંકુશ હેઠળ મંજૂરી મળી તે તત્કાલીન રાજકોટ પોલીસ કમિશનર IPS મનોજ અગ્રવાલના કાર્યકાળની મૂળ ફાઈલ ગાયબ હોવાનુ નાટક ચાલ્યુ છે.
બીજી તરફ સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાના મહોરાને આગળ કરીને અગ્નિકાંડની પાછળ ખરેખર કોણ કોણ જવાબદાર ? તેની મૂળ તપાસ અને નિષ્કર્ષની ઉપર ઢાંકપિછાડો થઈ રહ્યાનું ચિત્ર ઉપસ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીવાળી SITને તપાસમાં TRP ગેમિંગ ઝોનના આરંભે પોલીસ કમિશનરેટમાં અપાયેલી મંજૂરીની આખી ફાઈલ ગાયબ હોવાનું બહાર આવ્યુ હતુ. આ જ કારણોસર તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર- PI જે.બી.ધોળાને સસ્પેન્ડ કરાયા. જો કે, પાછળથી રાજકોટ પોલીસની SITએ મૂળ ફાઈલ શોધી લીધી છે. છતાંયે જૂલાઈ 2018થી માર્ચ 2022 સુધી પોલીસ કમિશનર રહેતા તોડકાંડને કારણે સાઈડલાઈન કરાયેલા IPS મનોજ અગ્રવાલ સામે કોઈ કાર્યવાહી થઈ નથી ! આથી, રાજકોટ અગ્નિકાંડને પણ વડોદરાના હરણી બોટકાંડ, મોરબીના ઝૂલતો પુલ તુટવાની દુર્ઘટના, સુરતના તક્ષશીલા અગ્નિકાંડની જેમ જનમાનસમાંથી ભુલાવી દેવા તપાસને આડે પાટે ચઢાવવા TPO મનસુખ સાગઠિયા એ જ એકમાત્ર આરોપી હોય તે રીતે પોલીસ દ્વારા પ્રસ્તૃત કરાઈ રહ્યાની ચર્ચા છે.
આવું તે કેવું ? સાગઠિયાની સાથે સફેદપોશની સામેલગીરી નહીં !
રાજકોટ પોલીસ અગ્નિકાંડના મુળમાં ઉતરીને મોટી માછલીઓને શોધવાને બદલે લાંચ રૂશ્વત બ્યૂરો- ACBએ શોધીને આપેલા સાગઠિયાએ કૌભાંડો થકી ભેગા કરેલા કરોડોના મુદ્દામાલની આસપાસ તપાસ કરી રહી છે. આ તપાસ પણ જરૂરી છે પરંતુ, ટાઉન પ્લાનિંગ, ફાયરથી લઈ બાંધકામની મંજૂરીઓ પાછળ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ, વિવિધ કમિટીઓના ચેરમેન અને સફેદપોશ નેતાઓની જાણે કોઈ જ સામેલગીરી ન હોય તે રીતે કાર્યવાહી થઈ રહી છે. જેના કારણે TRP અગ્નિકાંડમાં એક નાની માછલીના મહોરાને આગળ કરી તમામ IAS- IPS અને સફેદપોશ નેતાઓ અર્થાત મોટી માછલી- મગરમચ્છોના ઝુંડને અદભુત રીતે બચાવવામાં આવતા હોય તે સ્પષ્ટ થઈ રહ્યુ છે.
‘સંદેશ’ના સળગતા સવાલો યથાવત્, અમે ભૂલવા નહીં દઈએ
1. રસીડેન્સિયલ ઝોનમાં TRP ગેમિંગ ઝોનને મંજૂરી કોણે આપી ?
2. ત્રણ વર્ષથી ચાલતા ગેમિંગ ઝોનમાં સાયલન્ટ રોકાણકર્તા કોણ ?
3. ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીનો બચાવ કરનાર કોણ ?
4. મનસુખ સાગઠીયાના ગોડફાધર ભાજપના કયા મોટા નેતા છે ?
5. પોલીસ ઓફિસરો સામે માત્ર સસ્પેન્શનની જ કાર્યવાહી કેમ ?
6. સુપરવિઝન, નિર્ણયકર્તા માછલી- મગરમચ્છો કોણ બચાવે છે ?
7. ત્રિવેદીની SIT, 3 IASની કમિટીના રિપોર્ટ કેમ જાહેર નહી ?
8. બર્થ- ડે સેલિબ્રેટ કરનારા IAS- IPSને સામે એક્શન કેમ નહી ?
9. રાજકોટ મ્યુ. કોર્પો.ની કમિટીના ચેરમેનોની જવાબદારી શુ બને ?
10. કેટલા મહિનામાં તપાસ પૂર્ણ કરી આરોપીઓને સજા આપવશે ?


