- ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર કરીને વિગતો માગવામાં આવી
- ગેમિંગ ઝોન માટે કઈ કઈ મંજૂરી લેવામાં આવે છે અને તેની સ્થિતિ શું છે તેની વિગતો મંગાઈ
- 28 મે ના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં આ વિગતો ગૃહ વિભાગને પહોંચી કરવા માટેનો આદેશ કરાયો
રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનની આગમાં એક નહીં 28 જિંદગી બળીને ખાખ થઈ હતી. અજુગતી વાત તો એ છે કે, કોરોના સમયે જે જગ્યાએ કોવિડ વોર્ડ હતો હાલ તે જગ્યાએ DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે,જેમાં ગૃહ વિભાગે એક પરીપત્ર કર્યો છે,જેમાં વિગતો મંગાવવામાં આવી છે કે,ગેમિંગ ઝોન માટે કઈ મંજૂરી લેવી અને હાલમાં તેની સ્થિતિ શું છે તે તમામ માહિતી 28 મે સુધીમાં ગૃહ વિભાગને આપવાની રહેશે.
6 આરોપીઓ સામે ગુનો નોંધાયો
રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે.
31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી
31 પરિજનોએ સગા ગુમ થયાની નોંધ કરાવી છે. જેમાં 20 વર્ષીય કલ્પેશ પ્રવિણભાઈ બગડા ગુમ છે. તેમજ કલ્પેશ પ્રવિણભાઈ બગડા મૂળ સાવરકુંડલાનો વતની છે. ઘટના બનતા મોડી રાત્રી સુધી DNA લેવામાં આવ્યા છે. જેમાં તંત્ર પાસે મિસિંગ અંગે કોઈ નક્કર આયોજન નથી. તેમજ ગેમઝોનમાં આગનો સામાન પહેલાથી હાજર જ હતો. તેમાં દોડવવામાં આવતી રેસિંગ કાર પણ જીવતા બોમ્બ બની છે. ખુલ્લી પેટ્રોલની ટાંકીઓ સાથે રેસિંગ કાર રખાઈ હતી. અહીં પેટ્રોલની ટાંકીઓ ભરેલી કાર હજુ પણ પડી છે. ગેમઝોનમાં 2000 લિટર ડીઝલ, 1500 લિટર પેટ્રોલ હતું.
દુર્ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: એડીજી સુભાષ ત્રિવેદી
આજે વહેલી સવારે 5:00 વાગ્યે, એડીજી સુભાષ ત્રિવેદી અને એફએસએલ ડાયરેક્ટર એચ.જે.ત્રિવેદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને જણાવ્યું કે આ દુર્ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.અને મૃતકોને ન્યાય મળશે. આ સાથે જ ફોરેન્સિક અધિકારીએ કહ્યું કે મૃતકોની ઓળખ થવી મુશ્કેલ છે જેથી મૃતકોના ડિએનએ રિપોર્ટ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે જેમાં 2 કલાકથી લઈને 48 કલાકનો સમય લાગી શકે છે. ત્યારે આ ઘટનામાં કેટલીયે માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ ત્યારે હવે તંત્ર પોતાની નિષ્કાળજી છુપાવાની કોશિશ કરી દોષના ટોપલા એકબીજાના માથે નાખતા જોવા મળશે તેમાં પણ નવાઈ નથી. પરંતુ તક્ષશિલા અગ્નિકાંડ હોય કે મોરબી બ્રિજ દુર્ઘટના, કે પછી તાજેતરમાં જ માસૂમ બાળકોના જીવ લેનાર વડોદરાનું હરણી બોટકાંડ દરેક ઘટનાના દોષિતો હજી પણ બહાર ખુલા ફરે છે. ત્યારે શું નિષ્કાળજી દાખવનાર દોષિતો અને ગેમ ઝોનના સંચાલકોની બદલે માલિકો સામે કાર્યવાહી કરશે તે ખૂબ જ અગત્યના સવાલો સામે આવી રહ્યા છે.


