ગુજરાતમાં કચ્છમાં આવેલા ભૂકંપ બાદ સૌરાષ્ટ્રની ધરા સતત ધૃજી રહી છે. ગીર સોમનાથના તાલાલામાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ સતત ધૃજારી અનુભવાઈ રહી છે. ત્યારે આજે સવારે 10:51 વાગ્યે તાલાલામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું.
તાલાલામાં 3.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
ગીર સોમનાથના તાલાલામાં આજે સવારે 10:51 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાયું છે. આ પહેલા ગત પાંચમી ડિસેમ્બરે તાલાલામાં બે આંચકા અનુભવાયા હતાં. પ્રથમ આંચકો મોડી રાત્રે 1.48 વાગ્યે અને બીજો આંચકો વહેલી સવારે 4.43 વાગ્યે અનુભવાયો હતો. 1.6 અને 1.4ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિ.મી નોર્થ ઇસ્ટમાં નોંધાયું હતું.
નવેમ્બરના અંતમાં અમરેલીનાં ખાંભા ગીરમાં આંચકો આવ્યો હતો
આ પહેલા નવેમ્બરના અંતમાં અમરેલીનાં ખાંભા ગીરના ગામડાઓમાં પણ સતત બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાત્રે 1.44 વાગ્યે 1.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ત્યાર બાદ બપોરના સમયે પણ 2.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ખાંભા ગીરના સમઢીયાળા,અનિડા, કોટડામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સમઢિયાળાથી 38કિ.મી દૂર નોંધાયું હતું.


