- જ્ઞાનવાપી કેસમાં વુજુખાનાને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
- કોર્ટે વુજુખાનાની સાફસફાઇ કરવા આપ્યો આદેશ
- હિન્દુ પક્ષે વુજુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો છે
સુપ્રીમ કોર્ટે મંગળવારે કાશીના જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મસ્જિદ પરિસરમાં હાજર પાણીની ટાંકી (વુજુખાના)ની સાફસફાઇ કરવાની મંજૂરી આપી છે. મહત્વનું છે કે હિન્દુ પક્ષે આ જ વુજુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે હિન્દુ પક્ષની અરજી પર આ નિર્દેશ આપ્યો હતો. હકીકતમાં, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદ પરિસરમાં ભગવાનની પૂજા કરવાની પરવાનગી માંગી હતી. તેમજ તે ટાંકીમાં મરેલી માછલીઓ હોવાથી પાણીની ટાંકીની સફાઈ કરવા માંગ કરાઈ હતી. હિન્દુ પક્ષની અરજીનો મસ્જિદ પ્રબંધન સમિતિએ વિરોધ કર્યો ન હતો.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું છે કે ટેંકની સફાઇ વારાણસીના જિલ્લા કલેકટરની દેખરેખમાં કરાવવામાં આવશેઆવે. હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ માધવી દીવાન હાજર રહ્યા હતા. તો, મસ્જિદ કમિટી તરફથી સિનિયર લોયર હુજૈફા અહમદી હાજર રહ્યા હતા.
જણાવી દઈએ કે, મે 2022માં સુપ્રીમ કોર્ટે મસ્જિદના વુજુખાનામાં શિવલિંગ મળવાના દાવા બાદ વુજુખાનાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને નમાજ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે, હિન્દુ પક્ષની માંગ પર, સુપ્રીમ કોર્ટે ASIને મસ્જિદ સંકુલનો સર્વે કરવાની મંજૂરી આપી હતી. આ જ સર્વેમાં મસ્જિદ સંકુલના વુજુખાનામાં શિવલિંગ જેવો આકાર મળી આવ્યો હતો. હિન્દુ પક્ષે તેને શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો.


