સર્વકર્માણિ મનસા સન્યસ્યાસ્તે સુખં વશી II
નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન્ન કારયન II 5/13II
અર્થ : દેહને વશ કરનારો મનુષ્ય સર્વ કર્મને માનસિક રીતે ત્યાગીને નવ દરવાજાવાળા નગરમાં સુખપૂર્વક રહે છે. તે કંઈ જ કરતો નથી અને કંઈ જ કરાવતો નથી.
જે દેહને વશ કરી શકે તે શું મેળવે છે તેની ભગવાને અહીંયાં વાત કરી છે. દેહને વશ કરવો એટલે શું? દેહ એટલે જુદીજુદી ઇન્દ્રિયોનો સમૂહ. દેહને વશ કરનાર એટલે ઇન્દ્રિયોને વશ કરનાર. આંખ કાન નાક જીભ ત્વચા આ બધી ઇન્દ્રિયો છે તે આપણે જાણીએ જ છીએ અને આ ઇન્દ્રિય દ્વારા આપણે કયા કયા પ્રકારનાં કેવાં કેવાં સુખ માણી શકીએ તે પણ આપણને ખબર છે. જો તમે ઇન્દ્રિયોને વશ ન કરી શકો અને તે ઇચ્છે તેવાં બધાં જ સુખ મેળવવા પ્રયત્ન કરતા જ રહેશો તો એનો કદાપિ અંત આવશે જ નહીં અને તમે જીવનના સાચા માર્ગને બદલે બીજા જ માર્ગે ભટકી જશો જ્યાં તમારા માટે પારાવાર દુઃખ સિવાય બીજું કશું જ નહીં હોય. ભગવાને એથી જ કહ્યું છે કે ઇન્દ્રિયાતીત સુખ મેળવવા માટેના કર્મનો જે માનસિક રીતે ત્યાગ કરી શકે તે નવ દરવાજાવાળા નગરમાં સુખપૂર્વક રહી શકે છે. પ્રશ્ન થાય કે ભગવાન અહીં નવ દરવાજાવાળા કયા નગરની વાત કરે છે. તો આ નગર એટલે બીજું કંઈ નહીં, પણ આપણું શરીર. મનુષ્ય દેહને નવ દરવાજા ભગવાને મૂકેલા જ છે. મુખ, બે કાન, બે આંખ, નાકનાં બે છિદ્રો અને મળ-મૂત્રના નિકાલનાં બે છિદ્ર મળી એ કુલ નવ દરવાજા થાય છે. જે મનુષ્ય ઈન્દ્રિયોના સુખનો ત્યાગ કરી દે છે તે મનુષ્ય તેના દેહમાં શાંતિથી જીવન જીવી શકે છે તેવું ભગવાનનું કથન છે.
ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ: II
ન કર્મફલસંયોગમ સ્વબાવસ્તુ પ્રવર્તતે II 5/14 II
નાદત્તે કસ્યચિત્પાપમ નચૈવ સુકૃતમ વિભુ: II
અજ્ઞાનેનાવૃત્તમ જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવ :II 5/15 II
અર્થ : પ્રભુ દેહાદિકના કર્તાપણાને ઉત્પન્ન કરતો નથી, કર્મને ઉત્પન્ન કરતા નથી કે કર્મ ફળના સંયોગને ઉત્પન્ન કરતા નથી, પરંતુ તે અવિદ્યા રૂપ માયાનો જ સર્વ ખેલ છે. પરમેશ્વર કોઈના પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી, પરંતુ જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે તેને લીધે સર્વ જીવ મોહ પામે છે. (14-15)
વ્યક્તિના મનમાં કર્તાપણાનો જે ભાવ જાગે છે તે ઈશ્વર કે તેનો આત્મા જગાડતો નથી, પણ સંસારની જે માયા છે તે સ્વયં આવો ભાવ જગાડે છે. કર્મ જે થાય છે તે જે તે દેહ દ્વારા જ થાય છે. અહીં તો એટલે સુધી કહી દેવાયું છે કે આત્મા અથવા તો પરમાત્મા કોઇ કર્મના ફળનો યોગ કે સંયોગ પણ ઉપસ્થિત કરતા નથી જે કંઇ પણ ફળ, સફળતા, નિષ્ફળતા, યશ કે અપયશ પ્રગટે છે તે જગતની માયા ઉપજાવે છે. આ માયાથી સાચવીને જીવવાનું છે. માયા જુદા જુદા પ્રકારનાં પ્રલોભન જગાડે છે, વ્યક્તિને ઈશ્વરી શક્તિથી દૂર લઇ જાય તે પ્રકારની આ માયાની પેરવી હોય છે. માયા અવિદ્યા રૂપ છે, એટલે કે એમાં કશું જ્ઞાનનું તત્ત્વ હોતું નથી. જે માયાથી અલિપ્ત રહીને પોતે કરેલા કર્મ માટે કર્તાપણાનો ભાવ જાગવા દેતો નથી તે જ ઈશ્વરની નજીક જઈ શકે છે. જેમ ભગવાન કોઈનામાં કર્તાપણાનો ભાવ જગાડતા નથી તેમ તે કોઇનું પાપ કે પુણ્ય તેમના માથે પણ લેતા નથી. આ બંને શ્લોકનો સાર એવો થાય છે કે ઈશ્વર કશું પોતાના માથે રાખતા નથી જે કંઇ ખરું કે ખોટું થાય છે તે માયાને લીધે જ થાય છે.