શ્રીમદ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે. આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદ્ચિંતન વધારે છે.
સૂર્ય, ચંદ્ર, પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે, તેથી તેના ધારક, ઉત્પાદક, પાલક, સંરક્ષક, પ્રકાશક ભગવાન છે. ભગવાનની શક્તિ હોવાથી અપરા પ્રકૃતિ ભગવાનથી અભિન્ન છે. સમષ્ટિ શક્તિમાં પોતાનો પ્રભાવ બતાવ્યા પછી જે શક્તિથી વ્યષ્ટિજગતમાં ક્રિયાઓ થઇ રહી છે તેમાં પોતાનો પ્રભાવ બતાવતાં ભગવાન ગીતા(15/14)માં કહે છે કે,
અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ।
પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્॥
તમામ પ્રાણીઓનાં શરીરમાં રહેવાવાળો હું જ પ્રાણ અને અપાનથી યુક્ત વૈશ્વાનર જઠરાગ્નિ થઇને ચાર પ્રકારનાં અન્નને પચાવું છું. પ્રાણીઓનાં શરીરને પુષ્ટ કરવા તથા તેઓના પ્રાણોની રક્ષા કરવાને માટે ભગવાન જ વૈશ્વાનર જઠરાગ્નિના રૂપે એ પ્રાણીઓનાં શરીરમાં રહે છે. અગ્નિનાં બે કાર્યો છેઃ પ્રકાશ કરવો અને પચાવવું, જે ભગવાનની જ શક્તિથી થાય છે. પ્રાણીઓનાં શરીરોને પુષ્ટ કરવા તથા તેઓના પ્રાણોની રક્ષા કરવા માટે ભગવાન જ વૈશ્વાનર અગ્નિના રૂપે એ પ્રાણીઓના શરીરમાં રહી ચાર પ્રકારનાં અન્નને પચાવે છે. શરીરમાં પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન – આ પાંચ મુખ્ય વાયુ તેમજ નાગ, કૂર્મ, કૃકર, દેવદત્ત અને ધનંજય – આ પાંચ ઉપપ્રધાન વાયુ રહે છે. આ દશ પ્રાણવાયુઓનાં અલગ-અલગ કાર્યો છે.
પ્રાણવાયુનું સ્થાન હૃદય છે. શ્વાસ બહાર કાઢવો, ખાધેલા અન્નને પચાવવું વગેરે તેનાં કાર્યો છે. અપાન વાયુનું નિવાસસ્થાન ગુદા છે. શ્વાસને અંદર લઇ જવો, મળ-મૂત્રને બહાર કાઢવાં, ગર્ભને બહાર કાઢવો વગેરે તેનાં કાર્યો છે. સમાન વાયુનું નિવાસસ્થાન નાભિ છે. પચેલા ભોજનના રસને બધાં અંગોમાં વહેંચવો તેનાં કાર્યો છે. ઉદાન વાયુનું નિવાસસ્થાન કંઠ છે. જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે તેના ઘટભાગ અને જળભાગને તે અલગ-અલગ કરે છે. સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરથી બહાર કાઢવાનું તથા તેને બીજા શરીર કે લોકમાં લઇ જવાનું પણ તેનું જ કાર્ય છે. વ્યાન વાયુનું નિવાસસ્થાન સમગ્ર શરીર છે. શરીર તથા તેનાં અંગોને સંકોચવાં કે ફેલાવવાં તેનું કાર્ય છે. નાગ વાયુનું કાર્ય ઓડકાર લેવાનું છે. કૂર્મ વાયુનું કાર્ય આંખોને ખોલવી અને બંધ કરવાનું છે. કૃકર વાયુનું કાર્ય છીંક ખાવાનું છે. દેવદત્ત વાયુનું કાર્ય બગાસું ખાવાનું છે. ધનંજય વાયુ મૃત્યુ પછી પણ શરીરમાં રહે છે.
જીવને બે શક્તિઓ મળેલી છેઃ પ્રાણશક્તિ જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને ઇચ્છાશક્તિ જેનાથી ભોગોને ભોગવવાની ઇચ્છા થાય છે. પ્રાણશક્તિ શ્વાસોચ્છવાસ દ્વારા ક્ષીણ થતી રહે છે. પ્રાણશક્તિનું ક્ષીણ થવું એ જ મૃત્યુ કહેવાય છે.
જડનો સંગ કરવાથી કંઇક કરવા અને પામવાની ઇચ્છા ચાલુ રહે છે. પ્રાણશક્તિ રહેતાં જ ઇચ્છાશક્તિ એટલે કે કંઇક કરવાની અને પામવાની ઇચ્છા દૂર થઇ જાય તો મનુષ્ય જીવનમુક્ત બની જાય છે. પ્રાણશક્તિ નષ્ટ થઇ જાય અને ઇચ્છાઓ ચાલુ રહે તો બીજો જન્મ લેવો 5ડે છે. નવું શરીર મળતાં ઇચ્છાશક્તિ તો તે જ પૂર્વજન્મની રહે છે, પ્રાણશક્તિ નવી મળી જાય છે.