લાંબા સમયનું વિધ્ન અંતે દૂર, રેલવેએ આપી ગર્ડર ચડાવવાની મંજૂરી
ગુડ ન્યુઝ : સાંઢીયા પુલ માર્ચથી સંભવિત ખૂલ્લો મૂકાશે
૭૫ કરોડના ખર્ચે નિર્માણધીન બ્રિજ શરૂ થતા વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાથી મળશે મુકિત
૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા રોડ અને કાલાવડ રોડ સહિતના મુખ્ય રાજમાર્ગો પર ડાયવર્ટ થયેલા ટ્રાફિકનું ભારણ ઘટશે
ટ્રેનોની અવર-જવરને અસર ન થાય તે રીતે ગર્ડર ચડાવવાની કામગીરી કરાશે : બ્લોકની માંગણી
મંજૂરીની પ્રક્રિયામાં વિલંબ થતા કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાએ વ્યકત કરી હતી નારાજગી
અગ્ર ગુજરાત, રાજકોટ
જામનગર રોડ તરફ જતાં સિવિલ હોસ્પિટલની આગળ આવતા ઐતિહાસિક સાંઢીયા પુલની સેવા હવે માત્ર એકાદ મહિનામાં મળતી થવાના ઉજળા સંજોગો વર્તાઇ રહ્યા છે. રેલવે દ્વારા ગર્ડર ચડાવવાની મંજૂરી આપવામાં આવતા તેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેથી જે પ્રોજેકટ એપ્રિલમાં પૂર્ણ હતો તે હવે માર્ચ સુધીમાં પૂર્ણ કરી સેવામાં મૂકવાની વિચારણા ચાલી રહી છે.
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તાર અને જામનગર હાઈવેને જોડતા અતિ મહત્વના એવા સાંઢીયા પુલના નવનિર્માણ આડે લાંબા સમયથી ચાલી રહેલું વિઘ્ન અંતે દૂર થયું છે. રેલવે ટ્રેક ઉપર ગર્ડર ચડાવવા માટેની અંતિમ મંજૂરી રેલવે વિભાગ દ્વારા આપી દેવામાં આવતા હવે બ્રિજની કામગીરીમાં તેજી આવશે. તંત્ર દ્વારા એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે, માર્ચ-2026 સુધીમાં આ ફોરલેન ફ્લાયઓવરનું કામ પૂર્ણ કરી તેને જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. ઘણા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા હજારો વાહન ચાલકોને રાહત મળશે અને જામનગર રોડ પર ટ્રાફિકની સમસ્યા મહદઅંશે દૂર થશે.
જામનગર રોડથી રાજકોટ શહેરમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વાર સમાન આ દાયકાઓ જૂના સાંઢીયા પુલની હાલત અતિ જર્જરિત અને અસલામત જાહેર કરવામાં આવી હતી. આથી, સુરક્ષાના કારણોસર જૂના પુલને તોડી તેની જગ્યાએ 75 કરોડના ખર્ચે નવા આધુનિક ફોરલેન બ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જામનગર રોડ પરનો એસટી બસ અને ખાનગી લક્ઝરી બસો સહિતનો તમામ ભારે ટ્રાફિક 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ અને કાલાવડ રોડ જેવા મુખ્ય રાજમાર્ગો પર ડાયવર્ટ કરવો પડ્યો હતો. જેના કારણે શહેરના આંતરિક માર્ગો પર વાહનોનું ભારણ અસહ્ય વધી ગયું છે અને નાગરિકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે.
બ્રિજની બંને બાજુના એપ્રોચ રોડ અને પિલરનું કામ તો ઘણો સમય પહેલા પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ રેલવે ટ્રેકની બરાબર ઉપર આવતા સેન્ટ્રલ પોર્શનમાં ગર્ડર ગોઠવવા માટે રેલવેની ટેકનિકલ મંજૂરી લેવી અનિવાર્ય હતી. આ પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જોકે, હવે તમામ અવરોધો દૂર થયા છે અને રેલવે વિભાગે ગર્ડર ચડાવવા માટે ‘બ્લોક’ લેવાની મંજૂરી આપી દીધી છે. ટ્રેનોની અવરજવરને અસર ન થાય તે રીતે આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
સિટી એન્જિનિયર અતુલ રાવલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગર્ડર ચડાવવાની પ્રક્રિયા માટે સામાન્ય રીતે સતત 4 કલાકનો બ્લોક જરૂરી હોય છે, પરંતુ રેલવે ટ્રેક પર ટ્રેનોની વ્યસ્તતાને જોતા રેલવે વિભાગે 4 કલાકનો સળંગ બ્લોક આપવા અસમર્થતા દર્શાવી હતી. તેના બદલે મનપાએ 2-2 કલાકના બે અલગ બ્લોકની માંગણી કરી છે. જે મુજબ, પ્રથમ દિવસે 2 કલાકના સમયગાળામાં અડધી કામગીરી અને બીજા દિવસે બાકીના 2 કલાકમાં ગર્ડર ગોઠવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. હવે રેલવે વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં બ્લોકનો ચોક્કસ સમય ફાળવવામાં આવશે, જે બાદ ગર્ડર ચડાવવાનું જટિલ કામ શરૂ કરી દેવાશે.
અગાઉ અવધી લંબાવાઇ હતી
નોંધનીય છે કે, રાજકોટમાં જૂનો બ્રિજ તોડીને નવો બનાવવાનો આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે. આ કામગીરી દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જૂના પુલને તોડવા માટે રેલવેની કડક શરતો વચ્ચે ડાયમંડ કટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, બ્રિજની ડિઝાઇનમાં પણ ટેક્નિકલ કારણોસર ફેરફાર કરવા પડ્યા હતા, જેના કારણે પ્રોજેક્ટની સમયમર્યાદા લંબાઈ હતી. પરંતુ હવે જ્યારે અંતિમ મંજૂરી મળી ગઈ છે, ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે બાકીનું કામ પૂરું કરવા સજ્જ થયું છે. માર્ચ મહિના સુધીમાં આ બ્રિજ કાર્યરત થતા જામનગર રોડ અને રૈયા રોડ પરનો ટ્રાફિક હળવો થશે અને લોકોને કાયમી ધોરણે સુવિધા મળશે.


