સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકો રાજકીય આગેવાનો માટે મોટા સમાચાર
સરકારનો નિર્ણય : ગુજરાતમાં સહકારી મંડળીઓની ચૂંટણી ૬ મહિના માટે સ્થગિત
એસઆઇઆરની ચાલતી કામગીરીને ધ્યાને લઇ વહિવટી સરળતા માટે પગલું લેવાયું
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગાંધીનગર ખાતેથી ગુજરાતના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકો અને રાજકીય આગેવાનો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને નિર્દિષ્ટ સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીઓ આગામી 6 મહિના સુધી સ્થગિત કરી દીધી છે. રાજ્યમાં ચાલી રહેલી ‘SIR’ની કામગીરીને ધ્યાનમાં રાખીને વહીવટી સરળતા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં SIR ની અત્યંત મહત્વપૂર્ણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીમાં મહેસૂલી તંત્ર અને વહીવટી સ્ટાફ સંપૂર્ણપણે રોકાયેલો છે. આવી સ્થિતિમાં સહકારી મંડળીઓની ચૂંટણીનું આયોજન કરવું વ્યવહારિક રીતે મુશ્કેલ હોવાથી, સરકારે ચૂંટણીઓ ન યોજવાનો નિર્ણય લીધો છે.
સરકારે આ અંગે સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડી દીધું છે. જે મુજબ, આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી 6 મહિના સુધી ચૂંટણીઓ યોજવામાં આવશે નહીં. આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી શરૂ થઈ જશે, જેથી વહીવટી તંત્ર પરનો બોજ હળવો કરી શકાય અને તેઓ SIR ની કામગીરીમાં ધ્યાન આપી શકે.
કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો, ‘ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961’ની કલમ-161 હેઠળ મળેલી સત્તાની રૂએ આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંતર્ગત મંડળીઓને કલમ-74 (C) અને કલમ-145 (A) થી (Z) સુધીની જોગવાઈઓમાંથી કામચલાઉ મુક્તિ આપવામાં આવી છે.
આ નિર્ણય રાજ્યની એવી તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓને લાગુ પડશે જેની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ છે અથવા આગામી ટૂંક સમયમાં યોજાવાની હતી. એટલે કે, જે મંડળીઓમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો હતો, ત્યાં હવે બ્રેક લાગી જશે અને ઉમેદવારોએ રાહ જોવી પડશે.
આ નિર્ણયને કારણે હાલ પૂરતું રાજ્યનું સહકારી રાજકારણ શાંત પડશે. હવે આગામી છ મહિના સુધી ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ બંધ રહેશે, અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે SIR ના પ્રોજેક્ટ અને અન્ય વિકાસના કામો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
હાલ પૂરતું રાજયનું સહકારી રાજકારણ શાંત પડશે
સરકારે આ આદેશમાં એક મહત્વનો અપવાદ પણ રાખ્યો છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે સહકારી મંડળીઓની ચૂંટણી અંગે નામદાર હાઈકોર્ટ કે અન્ય કોર્ટનો હુકમ હોય અથવા ન્યાયિક પ્રક્રિયા હેઠળ ચૂંટણી યોજવાનો આદેશ હોય, તેવી મંડળીઓને આ મુક્તિ લાગુ પડશે નહીં. ત્યાં ચૂંટણી રાબેતા મુજબ યોજાશે.


