- વિધાનસભામાં સર્વાનુમતે ત્રણ કાયદામાં સુધારો પસાર થયો
- 30 જૂન 2015 કે તે પહેલા ખરીદેલી જમીનને બિનખેતી રૂપાંતરણ માટે અરજી થઈ શકશે
- સંસ્થા કે કંપનીએ 30 જૂન 2015 કે તે પૂર્વે ખરીદેલી જમીન NA કરાવી શકશે
પબ્લીક ટ્રસ્ટ અથવા સખાવતી પ્રવૃતિઓના ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી કંપની એક્ટ હેઠળ નોંધાયેલા એકમ કે સંસ્થાઓએ 30 જૂન 2015 કે તે પૂર્વે ખરીદેલી ખેતીની જમીન બિનખેતી- NAમાં તબદીલ કરવા અરજી કરવાની મુદ્દત વધારવા માટે વિધાનસભામાં ગુરુવારે સર્વાનુમતે ત્રણ મહેસૂલી કાયદામાં સુધારો પસાર થયો હતો. આવી જમીનોના કિસ્સામાં છેલ્લે 28મી ઓગસ્ટ 2020 સુધી NA માટે અરજી કરવાની મુદ્દત નિયત કરવામા આવી હતી. હવે સરકારે ઈચ્છશે તેટલો સમય મુદ્દત વધારીને સખાવતી સંસ્થા કે કંપનીએ 30 જૂન 2015 કે તે પૂર્વે ખરીદેલી જમીન NA કરાવી શકશે.
ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ- 1948, સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહિવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ- 1949 તેમજ ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ- 1958ને સુધારવા વિધાનસભામાં મહેસૂલ વિભાગનો હવાલો સંભાળતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધેયક રજૂ કર્યુ હતુ. આ સુધારાની ચર્ચા વેળા તેમણે કહ્યુ કે, સખાવતી પ્રવૃતિઓ કરતી શૈક્ષણિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટો કે સામાજિક સંસ્થાઓ જ્યારે જમીન ખરીદે છે ત્યારે એમને એ ખબર હોતી નથી કે કલમ- 63 હેઠળ પરવાનગી લેવી પડે કે કેમ ? નાગરીક સમાજના દાન- ફાળા કે ફંડ પર આધારિત ટસ્ટ્ર હેઠળની સંસ્થાઓ કે કંપની એક્ટ હેઠળની કંપનીઓ ફંડ, CSR ઉપલબ્ધ થાય ત્યારે બિનખેતીની માગંણી કરે ત્યારે મહેસૂલી પ્રશ્નો ઉભા થાય છે. આથી, 30 જૂન 2015 કે તે પૂર્વે ખરીદેલી ખેતીની જમીનને બિનખેતી રૂપાંતરણ માટે છેલ્લે કાયદામાં સુધારો કરીને 28મી ઓગસ્ટ 2020 સુધી અરજી કરવાની મુદ્દત આપી હતી. તે છતાંયે ઘણી સંસ્થાઓ આવી અરજી કરી નથી. એથી, કાયદાના મૂળ હાર્દને બદલ્યા વગર માત્ર નવી મુદ્દત આપવા સુધારો કર્યો છે. એથી, છેલ્લે વર્ષ 2019માં થયેલા સુધારા મુજબ આવી સંસ્થાઓ એક વર્ષ સુધી NA માટે અરજી કરી શકશે અને તેના માટે જંત્રીના 25 ટકાને બદલે 10 ટકા રકમ વસૂલવામા આવશે.


