વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
સર્વે નં. 38ની કિંમતી જમીન પર ગેરકાયદેસર બાંધકામ, નોટિસ છતાં દબાણ ન હટાવતા મામલતદાર ફરીયાદી બન્યા; પોલીસે તપાસ તેજ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરીને ઓઇલ મિલ શરૂ કરનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સરકારી જમીન પર બાંધકામ કરીને વાણિજય પ્રવૃત્તિ શરૂ કરી દેવા છતાં આરોપીએ તંત્રની નોટિસોને અવગણતા અંતે મામલતદાર પોતે ફરીયાદી બનતાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિરનગર ગામના સર્વે નંબર 38 હેઠળ આવતી સરકારી ખરાબાની આશરે 0-02-10 ચોરસ મીટર જેટલી જમીન, જે આટકોટ-રાજકોટ રોડ કાંઠે આવેલ છે, તે પર હરેશ પ્રેમજી રાદડિયા નામના વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો હતો. આરોપીએ અહીં “મહાદેવ મીની ઓઇલ મિલ” નામે બાંધકામ ઊભું કરી દીધું હતું અને પરવાનગી વિના વેપાર પણ શરૂ કરી દીધો હતો.
આ ગેરરીતિ અંગે તત્કાલીન જસદણ સર્કલ ઓફિસરે વિગતવાર તપાસ કરીને મામલતદારને અહેવાલ પાઠવ્યો હતો. ત્યારબાદ જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ આરોપી સામે દબાણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મામલતદાર દ્વારા આરોપીને નોટિસ પાઠવીને રૂબરૂ હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. સુનાવણી દરમિયાન આરોપીએ ગેરકાયદેસર કબ્જો કર્યાની બાબત સ્વીકારી હોવાના પણ અહેવાલ છે.
મામલતદારે આ મામલે આરોપીને દંડ ફટકાર્યો હતો અને દબાણ કરેલી જમીન પોતાનાં ખર્ચે ખાલી કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. જોકે, આરોપીએ ન તો દંડ ભર્યો અને ન તો જમીન પરથી કબ્જો દૂર કર્યો. આ કારણે તંત્રે વધુ કડક પગલાં લેવાની ફરજ પડી હતી.
આગળ ચાલી તા. 5 એપ્રિલ 2025ના રોજ આરોપીને ફરીથી નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં પાંચ દિવસની અંદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની ચેતવણી આપવામાં આવી હતી. છતાંય આરોપીએ આ નોટિસનો પણ અનાદર કર્યો હતો. પરિણામે મામલતદારે તા. 9 ફેબ્રુઆરી 2026ના રોજ સુઓમોટો કાર્યવાહી શરૂ કરી અને ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ કેસ દાખલ કરવા માટે રાજકોટ કલેકટર સમક્ષ દરખાસ્ત મોકલી હતી.
કલેકટરના આદેશ બાદ અંતે આરોપી હરેશ રાદડિયા સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર જમીનની કિંમત આશરે રૂ. 2.83 લાખ જેટલી હોવાનું પ્રાથમિક અંદાજ છે.
મામલતદાર એમ.કે. બલિયાએ નોંધાવેલી ફરીયાદના આધારે જસદણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની તપાસ એએસપી ડો. નવીન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. પોલીસ દ્વારા આરોપી સામે વધુ પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે તેમજ ગેરકાયદેસર બાંધકામ અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે.
સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં ચર્ચા જાગી છે કે સરકારી જમીન પર આ રીતે ગેરકાયદેસર કબ્જો કરીને ખુલ્લેઆમ વ્યવસાય ચલાવવામાં આવે અને તંત્રની નોટિસોને અવગણવામાં આવે, તે ગંભીર બાબત છે. લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે આવા કેસોમાં વધુ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરવાની હિંમત ન કરે.
આ ઘટનાએ ફરી એકવાર જમીન પચાવી પાડવાના કિસ્સાઓ સામે તંત્રની સજાગતા અને કડક વલણની જરૂરિયાત દર્શાવી છે. હવે તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામે કાનૂની કાર્યવાહી વધુ ગતિ પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


