- ભારત સરકારની ઈઝરાયેલની સ્થિતિ પર સતત નજર
- ભારતીય નાગરિકોને પરિસ્થિતિ પર નજર રાખી એલર્ટ કર્યા
- ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ સંદેશમાં યુદ્ધની ઘોષણા કરી
ભારત સરકાર ઈઝરાયેલની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સંદેશમાં યુદ્ધની ઘોષણા કરી હતી. ઈઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું હતું કે ‘હમાસે ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે તેમાં ઈઝરાયેલ જીતશે.’
ભારત સરકારે ઈઝરાયેલમાં હાજર ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેમને પરિસ્થિતિ પર નજર રાખવા અને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સ્થાનિક અધિકારીઓના સૂચનોનું પાલન કરો, બિન-જરૂરી કામ માટે બહાર ન જશો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો. ભારતીય નાગરિકોને ઈઝરાયેલ હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઈટ જોવા માટે કહેવામાં આવ્યું છે. કટોકટીના કિસ્સામાં તમને તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. એમ્બેસી હેલ્પલાઈન નંબર +97235226748 છે અને ઈમેલ આઈડી consl.telaviv@mea.gov.in છે.
યેરુસલેમમાં સાયરન સતત ગુંજી
ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે તે ગાઝા પટ્ટીમાં કેટલાક ટાર્ગેટને નિશાન બનાવી રહી છે. આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી છે. યરુસલેમમાં હવાઈ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વાગી રહ્યા છે. અગાઉ હમાસની લશ્કરી નેતાએ નવી લશ્કરી ઝુંબેશના ભાગરૂપે ઇઝરાયેલ પર 5,000થી વધુ રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.
ઇઝરાયેલ સામે નવા લશ્કરી અભિયાનની શરૂઆત: હમાસ
પેલેસ્ટાઈન આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર એવા સમયે રોકેટ છોડવામાં આવ્યું છે જ્યારે હાલમાં ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે અસ્થિર સરહદ પર અઠવાડિયાથી તણાવનું વાતાવરણ હતું. પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના નેતા મોહમ્મદ દેઈફે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હમાસે ઈઝરાયલ વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશનને ‘ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે.