- ગુજરાતમાં મિલાવટનું ચલણ વધ્યું
- કેબિનેટ બેઠકમાં થઈ ચર્ચા
- સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય
ગુજરાતમાં હાલના દિવસોમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોને રાફડો ફાટ્યો છે. મોટાભાગના શહેર અને ગામડાઓમાંથી પણ મિલાવટી ખાણીપીણીની ચીજો ઝડપાઈ હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ ઘટનાઓની નોંધ સરકારે પણ લીધી છે અને ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બાબતે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી હતી.
આ મામલે વધુ માહિતી આપતા ગુજરાત સરકાર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં જેવી રીતે ખાણીપીણીની નબળી ગુણવત્તાવાળી ચીજોની ઘટનાઓ સામે આવી છે તેની ચિંતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તેવી ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલની લાગણી છે અને જેને લઈને તેમણે મહત્વના નિર્દેશો પણ આપ્યા છે.
વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આજની રાજ્ય કેબિનેટ બેઠકમાં ખાણીપીણીની ચીજોમાં મિલાવટના મુદ્દે ચર્ચાઓ થઈ હતી. તેમણે કહ્યું હતું કે તહેવારોના દિવસોમાં આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કોઈ ચેડાં ન કરે એનું ધ્યાન રાખે છે. આ પ્રક્રિયા સમગ્ર વર્ષ દરમિયાન સતત ચાલતી રહેનારી પ્રક્રિયા છે. ખુદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની લાગણી છે કે આ ટેસ્ટિંગ સતત ચાલતું જ રહે અને વધુને વધુ ચીજોની ચકાસણી કરીને તેમના પરીક્ષણો કરવામાં આવે. આ ઉપરાંત ઝડપથી કાર્યવાહી કરીને કસૂરવારોને દંડ અને સજાની જોગવાઈનો અમલ થાય તેવી પણ વાત આજે કેબિનેટમાં ચર્ચાઈ હતી.
આમ આજે ગુજરાત રાજ્યની કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ ચર્ચાયા હતા. જેમાંથી એક પ્રમુખ મુદ્દો નકલી ખાણીપીણીની ચીજો અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોને લઈને હતો. ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મામલે જાહેર જનતાના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટેસ્ટિંગ વધારવાના નિર્દેશ આપ્યા હતા. આમ દિવાળી પહેલા નકલી ચીજોની મિલાવટ કરનારા તત્વોની સામે સરકાર કડક થઈ છે જેથી આવા તત્વોમાં ફફડાટ છે.


