- વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારનું મહત્ત્વનું પગલું
- પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત પણ વધી
- ઉલ્લેખનિય છે કે અગાઉ મુક્ત આયાતની સમય મર્યાદા માર્ચ 2024 સુધી કરવામાં આવી હતી
સતત વધતી જતી મોંઘવારી વચ્ચે ડાઇરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DG-FT)એ તુવેર, અડદની દાળને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે તુવેર અને અડદ દાળની ઇમ્પોર્ટ ડયુટી પર આપવામાં આવેલી છૂટની સમય મર્યાદા વધારી દીધી છે, હવે માર્ચ 2025 સુધી તુવેર, અડદની દાળ પર ઇમ્પોર્ટ ડયુટી પરની છૂટ ચાલું રહેશે. ઉલ્લેખનિય છે કે અગાઉ મુક્ત આયાતની સમય મર્યાદા માર્ચ 2024 સુધી કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું હતું કે તુવેર અને અડદની દાળને આપવામાં આવેલી મુક્તિને વધુ એક વર્ષ માટે એટલે કે માર્ચ 2025 સુધી વધારી દેવામાં આવી છે. સરકારનો આ નિર્ણય મસૂરની દાળ માટે ઇમ્પોર્ટ ડયૂટી પરની મુક્તિને એક વર્ષ માટે લંબાવવાના તાજેતરના નિર્ણય બાદ આવ્યો છે. ઓક્ટોબર 2021થી અમલમાં આવેલી આ મુક્તિ હવે માર્ચ 2025 સુધી જળવાઇ રહેશે. અહેવાલો અનુસાર ડયૂટી ફ્રિ ઇમ્પોર્ટ વધારવાનું નોટિફિકેશન એવા સમયમાં આવ્યું છે કે જ્યારે દેશ ઊંચા ફૂડ ઇન્ફલેશનનો સામનો કરી રહ્યો છે, જે નવેમ્બર 2023માં વધીને 8.7 ટકા થઇ ગયો હતો. ઓક્ટોબર મહિના માટે આ ફુગાવો 6.61 ટકા હતો. સ્ટેટિસ્ટિક મિનિસ્ટ્રી પાસે ઉપલબ્ધ આંકડા અનુસાર નવેમ્બર મહિનામાં દાળોની મોંઘવારીનો દર 20 ટકા નોંધાયો હતો.
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત પણ વધી
કેન્દ્ર સરકારે પહેલેથી જ પોતાના મફત અનાજ વિતરણ કાર્યક્રમ, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ વધારીને 2028 સુધી જાળવી રાખવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને મહિને પાંચ કિલો અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત સરકારે ખાંડ, ચોખા, દાળો, શાકભાજી તથા ખાદ્ય તેલો જેવી આવશ્યક વસ્તુઓની કિંમતને સ્થિર રાખવા અનેક પગલાં ભર્યા છે.


