- સ્ટેડિયમ અને સંવેદનશીલ વિસ્તારોમાં જડબેસલાક બંદોબસ્ત
- મેટ્રોની સાથે AMTS બસના રુટમાં 50 બસોનો વધારો કરાયો
- VVIP અને VIP લોકો પણ મોટી સંખ્યામાં પહોંચશે
અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના મેચ યોજાવાની છે. તે પહેલાં સુરક્ષાની તમામ તૈયારીઓ વચ્ચે પોલીસ દ્વારા કોઈ પણ કસર ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. આ માટે આજે જ્યારે એક તરફ ભારતીય અમદાવાદ પહોંચી રહી છે જેના માટે પણ તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે મેચ જોવાના રૂટ પર કોઈ તકલીફ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ તરફ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેડિયમ અને સંવેદનશીલ વિસ્તારોમાં જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જ્યાં 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે તે પહેલાં શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
મેટ્રો સાથે એક્સ્ટ્રા AMTS બસ પણ દોડશે
બીજી તરફ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો પહોંચી શકે છે તેને જોતાં AMC તરફથી પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દર્શકોનો સ્ટેડિયમ તરફ ઘસારો જોતા AMC એ મહત્વનો નિણર્ય લીધો છે અને મેટ્રોની સાથે AMTS બસના રૂટમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ માટે સ્ટેડિયમ જવા અને આવવા માટે 50 નવી બસો મૂકવામાં આવશે. જે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી ઉપડશે. આ બસ મેચ પૂર્ણ થયા બાદ પણ મળી રહશે.
BCCI નો સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ
બીસીસીઆઈ અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરી રહ્યું છે. જ્યાં એક તરફ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત મેચ જોવા માટે અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહેશે. ત્યારે ઉપરાંત લોકપ્રિય ગાયક અરિજિતસિંહ મેચ દરમિયાન પરફોર્મન્સ આપશે. આ મેચ દરમિયાન આતશબાજી અને લેઝર શો પણ યોજાઈ શકે છે. આ ઉપરાંત પણ ઘણાં ક્રિકેટ સ્ટારથી લઈ બોલિવુડ સ્ટાર મેચ જોવા માટે પહોંચી શકે છે. જેના માટે પણ સુરક્ષા વ્યવસ્થાની યોગ્ય તૈયારીઓ કરવામાં આવી છે.
PCB પ્રમુખ પણ પહોંચશે અમદાવાદ
મહત્વનું છે કે આ મેચ જોવા માટે પીસીબી પ્રમુખ અશરફ પણ ભારત આવવાના છે અને તેઓ મેચમાં હાજર રહેશે. પીસીબીના પ્રમુખ ઝકા અશરફ ભારત સામેની શનિવારે યોજાનારી પાકિસ્તાનની મેચમાં હાજર રહેશે. આ માટે પીસીબી પ્રમુખ ગુરુવારે જ અમદાવાદ પહોંચી જશે. જે અંગે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ છે.