- વડોદરાની મહિલાને અન્ય વ્યક્તિનો પાસપોર્ટ મળ્યો
- અધિકારીએ મહિલાને અમદાવાદ હેડ ઓફિસ જવા કહ્યું
- મહિલાએ વડોદરા પોલીસ મથકે નોંધાવી અરજી
ભારતમાં આધાર કાર્ડ અને પાન કાર્ડની જેમ પાસપોર્ટ પણ એક આવશ્યક દસ્તાવેજ છે. ત્યારે વડોદરામાં પાસપોર્ટ ઓફિસની ઘોર બેદકારી સામે આવી છે. વડોદરા પાસપોર્ટ ઓફિસે એક અગત્યના દસતાવેજને અન્ય વ્યક્તિને મોકલી દીધો છે. વડોદરાની એક મહિલાને કોઈ અન્ય શખસનો પાસપોર્ટ મળ્યો છે. વડોદરા પાસપોર્ટ ઓફિસના અધિકારીએ પાસપોર્ટ સ્વીકારવાનો કર્યો ઈનકાર. વડોદરાની મહિલાને પાસપોર્ટ કઢાવવાનો કડવો અનુભવ થયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,
ઘટના એવી છે કે, વડોદરામાં રહેતી એક મહિલા ભાવિતા પટેલે પાસપોર્ટ માટે અરજી કરી હતી જેનું વેરિફિકેશન અને અન્ય પ્રોસેસ થઈ ગઈ હતી અને તે પાસપોર્ટની રાહ જોતી હતી ત્યારે ભાવિતા પટેલને ટપાલ દ્વારા કોઈ અન્ય વ્યક્તિનો પાસપોર્ટ મળ્યો હતો. વડોદરાના ભાવિતા પટેલને મોરબી જિલ્લાના કોઈ કાળિયાર શાબુદ્દીન નામના શખસનો પાસપોર્ટ મળ્યો હતો. વડોદરાની મહિલાને કોઈ અન્ય વ્યક્તિનો પાસપોર્ટ મળતાં મહિલા પણ ચોંકી ઊઠી હતી અને મહિલાએ ઘટનાની જાણ તેના પતિને કરી હતી. ત્યારબાદ મહિલા તેના પતિને સાથે લઈને પાસપોર્ટ ઓફિસ પર પહોંચી હતી. જે અંગે મહિલા અને તેના પતિ એ પાસપોર્ટ ઓફિસમાં ફરિયાદ કરી હતી.
કવર પર મહિલાનું નામ
પાસપોર્ટના કવર ઉપર ભાવિતા પટેલનું નામ હતું અને અંદર મોરબીના કાળિયાર શાબુદ્દીન નામના શખસનો પાસપોર્ટ આવી ગયો હતો. જેને લઈને મહિલા અને તેના પતિએ વડોદરા પાસપોર્ટ ઓફિસના અધિકારીઓને આ અન્ય શખસનો પાસપોર્ટ પાછો આપ્યો હતો પરંતુ વડોદરા પાસપોર્ટ ઓફિસના અધિકારીઓ પાસપોર્ટ સ્વીકાર્યો ન હતો અને અન્ય કોઈપણ વાત સાંભળી ન હતી.

અમદાવાદ હેડ ઓફિસ કરો ફરિયાદ
વડોદરાની ભાવિતા પટેલને વડોદરા પાસપોર્ટ ઓફિસના અધિકારીએ અમદાવાદમાં પાસપોર્ટની હેડ ઓફિસ જવાનું કહ્યું હતું. જો તમારે તમારા પાસપોર્ટ અંગે કોઈ ક્વેરી હોય તો તમે અમદાવાદ પાસપોર્ટની રિજિયોનલ ઓફિસ પર જઈ ફરિયાદ કરો તેમ કહેતાં મહિલા અને તેના પતિ રોષે ભરાયા હતા અને આખરે મહિલાએ વડોદરા પોલીસ મથકમાં ફરિયાદ અરજી નોંધાવી હતી.
પાસપોર્ટ કેમ જરુરી છે?
ખાસ કરીને જેઓ વિદેશ જવા માગે છે તેમના માટે પાસપોર્ટ ખાસ અગત્યનો દસ્તાવેજ છે. તે સિવાય અન્ય કોઈ દેશમાં જવાની પરવાનગી આપવામાં આવતી નથી. પાસપોર્ટનો ઉપયોગ માત્ર વિદેશ જવા માટે જ નહીં, પણ ઓળખ કાર્ડ, સરનામાના પુરાવા અને અન્ય હેતુઓ માટે પણ થાય છે. સગીરથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ માટે પણ પાસપોર્ટ બનાવવામાં આવે છે. આમાં તમારી વિદેશ યાત્રાની સંપૂર્ણ વિગતો રાખવામાં આવી છે.
કેટલી ફી અને કેટલો સમય લાગે?
તમારે પાસપોર્ટ બનાવવા માટે 1500 રૂપિયા ફી છે. પોલીસ વેરિફિકેશનથી લઈને ઘણી બધી પ્રક્રિયાઓ છે, જેના કારણે તેને બનાવવામાં 15-30 દિવસનો સમય લાગે છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો પાસપોર્ટ રદ કરવાનો કે સરેન્ડર કરવાનો કોઈ નિયમ નથી. જ્યારે પાસપોર્ટનો સમયગાળો પૂર્ણ થઈ જાય છે, ત્યારે તે વ્યક્તિનો પાસપોર્ટ અમાન્ય થઈ જાય છે. જો કે, આ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ તેનો લાભ લઈ શકશે નહીં.


