– પ્રથમ ૬ મહિનામાં વસૂલીમાં ૩૧ ટકા વૃદ્ધિ જોવા મળી
Updated: Nov 14th, 2023
મુંબઇ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૩૧ ટકાની વૃદ્ધિ બાદ બીજા ત્રિમાસિક ગાળામાં વ્યક્તિગત આવક વેરાની વસૂલીમાં વૃદ્ધિનો આંક નબળો પડવાની શકયતા છે.
નાણાં વર્ષ ૨૦૨૪ના બાકીના ગાળામાં આવક વેરા વિભાગ રૂપિયા બે ટ્રિલિયન ટેકસ રિફન્ડસ કરવા ધારે છે. પાછલા ૬ મહિનાનું આવક વેરા રિફન્ડસ ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ રૂપિયા ૫૦,૦૦૦ કરોડ વધુ રહેવા અંદાજ છે, એમ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
ગયા સંપૂર્ણ નાણાં વર્ષમાં વિભાગે કુલ રૂપિયા ૩ ટ્રિલિયનનું રિફન્ડસ કર્યું હતું જ્યારે વર્તમાન નાણાં વર્ષમાં આ આંક રૂપિયા ૩.૫૦ ટ્રિલિયન રહેવાનો અંદાજ છે.
ઊંચા રિફન્ડસને કારણે વ્યક્તિગત આવક વેરાની કુલ વસૂલીમાં વૃદ્ધિની ટકાવારી ઘટી ૧૭થી ૧૮ ટકા રહેવા ધારણાં છે. વર્તમાન નાણાં વર્ષના બજેટમાં વસૂલીમાં ૧૧.૪૦ ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
વર્તમાન વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં રિફન્ડસ બાદ વ્યક્તિગત વેરાની વસૂલી રૂપિયા ૪.૫૨ ટ્રિલિયન રહી હતી જે બજેટ અંદાજના પચાસ ટકા જેટલી છે. ગયા નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં બજેટ અંદાજના ૪૩ ટકા ટેકસ વસૂલાયો હતો.
વર્તમાન વર્ષના નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં રૂપિયા ૧.૭૭ ટ્રિલિયનનું રિફન્ડસ પૂરું પડાયું છે જે ગયા વર્ષ આ ગાળા સુધીમાં રૂપિયા ૧.૮૩ટ્રિલિયનનું રિફન્ડસ અપાયું હતું.