ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી
રસ્તાઓના ખોદકામ અને નબળા કામથી પરેશાન નાગરિકોને કોન્ટ્રાક્ટરો દ્વારા ધમકાવવામાં આવતા આક્રોશ
જાગૃત કમિટી દ્વારા નિષ્ણાતો સાથે ચકાસણી શરૂ, ભ્રષ્ટ અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની સંભાવના
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને એજન્સીની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. વિકાસના નામે વિનાશ વેરાયો હોય તેવી સ્થિતિ વચ્ચે, આડેધડ ખોદકામને લીધે પીવાના પાણીની લાઇનમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી ભળી ગયું છે. જેના કારણે સ્થાનિકોના ઘરોમાં દૂષિત પાણી પહોંચી રહ્યું છે અને શહેરમાં રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે.
જાન્યુઆરી મહિનાથી ખોદી નખાયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતાં ધૂળ અને ખાડાઓથી વાહનચાલકો તેમજ સ્થાનિકો ત્રસ્ત છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે નાગરિકો આ નબળી કામગીરી, લાલિયાવાડી અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે, ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની સાથે દાદાગીરી કરવામાં આવે છે. નગરપાલિકા અને એજન્સી વચ્ચે સંકલનનો સદંતર અભાવ છે, અને રસ્તાના સમારકામ અંગે માત્ર ગોળ-ગોળ જવાબો આપીને લોકોને દબાણપૂર્વક મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે.
આ ગંભીર સમસ્યાઓ અને નાગરિકોની પરેશાનીને ધ્યાનમાં લઈને ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક ‘જાગૃત કમિટી’ની રચના કરવામાં આવી છે. આ કમિટીએ મીટિંગમાં જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓને આડેહાથ લીધા હતા. કામ નિયમ મુજબ ન થતું હોવાની સ્પષ્ટ તાકીદ કરીને, કમિટીએ હવે સક્ષમ અને નિષ્ણાત વ્યક્તિઓને સાથે રાખીને કામની ગુણવત્તાની સઘન ચકાસણી શરૂ કરી દીધી છે.
આગામી દિવસોમાં આ હલકું અને નિયમ વિરુદ્ધ થયેલું કામ ચોક્કસપણે પુરાવા સાથે બહાર આવશે. આ તપાસને પગલે ભ્રષ્ટાચાર આચરનારા જવાબદાર એજન્સી, કોન્ટ્રાક્ટ, કંપનીની બેદરકારી, ભ્રષ્ટાચારના ચોક્કસ પણે હવે પાટિયા પડી જશે અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે તેવી પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.


