વિક્રમ સંવત પ્રમાણે ચૈત્ર માસના સુદ પક્ષનો પ્રથમ દિવસ ગુડી પડવા તરીકે ઓળખાય છે. તે દિવસે મહારાષ્ટ્રીયન લોકોના નવા વર્ષની શરૂઆત થાય છે. તેમના સંવતને શાલિવાહન શક સંવત કહે છે. ગુડી પડવો ચૈત્ર માસની સુદ એકમે મનાવવામાં આવે છે. તે નવા વર્ષનો પહેલો દિવસ હોય છે, તેથી મહારાષ્ટ્રીયન લોકો મહારાષ્ટ્ર અને દેશ-વિદેશના કોઈ પણ ખૂણામાં વસતા હોય ત્યાં ધૂમધામથી ઊજવે છે. આ દિવસે ગુડી બનાવીને તેની વિધિવત્ પૂજા કરવામાં આવે છે. ગુડીને પોતાના ઘરના આંગણે, બારી-દરવાજા કે છત પર રાખીને તેની પૂજા કરવામાં આવે છે.
ગુડીને પરંપરાગત વાનગીઓ, શિખંડ અને પૂરણપોળીનો ભોગ ધરાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ઘરોમાં જ નહીં, પરંતુ દુકાનો, ઓફિસો અને શો રૂમમાં પણ ગુડી બનાવીને તેનું પૂજન કરાય છે. આ દિવસે લગ્ન, નવા શુભ કામની શરૂઆત કરવા, ઘરેણાં કે નવી સંપત્તિ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.
બધા જ લોકો પોતાના નવા વર્ષની શરૂઆત મીઠાઈ ખાઈને કરે છે, જ્યારે ગુડી પડવો એવો તહેવાર છે જેની શરૂઆત કડવું ખાઈને કરવામાં આવે છે. એવું કહેવાય છે કે લીમડાનાં પાન ખાવાથી મનની અંદર રહેલી બધી જ કડવાશ દૂર થાય છે, તેથી પહેંલા લીમડાનાં પાન ખાવાં જોઈએ ત્યાર બાદ મિષ્ટાન્ન ખાઈને નવા વર્ષનું સ્વાગત કરવું જોઈએ. તેનો ગૂઢાર્થ પણ સમજવા જેવો છે. પહેલાં જીવનમાં સંઘર્ષ કરો ત્યાર બાદ જ પરિશ્રમનું મીઠું ફળ મળશે. આયુર્વેદ પ્રમાણે પણ લીમડાના સેવનને હિતકારી માનવામાં આવે છે. ચૈત્ર સુદ એકમે ફસલ (પાક) પાકીને લણવા માટે તૈયાર થઈ ગઈ હોય છે, તેથી સુખ-સમૃદ્ધિની કામના સાથે ભગવાનને વંદન કરીને તેમના આશીર્વાદ લેવામાં આવે છે. નવા વર્ષની શરૂઆત હોવાને કારણે પંચાંગનું વાંચન પણ કરવામાં આવે છે.
ગુડી પડવાના દિવસે લોકો વહેલી સવારે સ્નાનાદિકાર્યથી પરવારીને મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે. ગુડી પડવાના દિવસે સૂર્યને અર્ધ્ય, લીમડાનાં પાન, પૂરણપોળી, શિખંડ અને ધજાપૂજનનું વિશેષ મહત્ત્વ હોય છે. સૂર્યોપાસના સાથે આરોગ્ય, સમૃદ્ધિ અને પવિત્ર આચરણની કામના કરવામાં આવે છે. આ દિવસે ઘરે-ઘરે વિજયના પ્રતીક સ્વરૂપ ગુડી સજાવવામાં આવે છે. રંગોળી પૂરવામાં આવે છે. ગુડીને નૈવેદ્ય ધરાવીને નવદુર્ગા, શ્રીરામ અને હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે.
શા માટે ગુડી પડવો મનાવાય છે?
એક પ્રચલિત કથા એવી છે કે ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રના શાલિવાહન શાસક જેનું નામ ગૌતમીપુત્ર સાતકર્ણી છે, તેમણે શક શાસક બહપનને પરાજય આપીને રાજ્યને વિદેશીઓની ચુંગલમાંથી મુક્ત કરાવ્યું હતું. આ જ વિજયોપલક્ષ્યમાં ગુડી પડવાનો તહેવાર મનાવવામાં આવે છે. બીજી એક કથા પ્રમાણે ભગવાન શ્રીરામે વાલીના અત્યાચારમાંથી દક્ષિણ ભારતની પ્રજાને મુક્ત કરાવી હતી. વાલીના ત્રાસથી મુક્ત થયેલી પ્રજાએ ઘરે-ઘરે ઉત્સવની ઉજવણી કરી અને ઘરમાં ગુડી (ધજા) ઓ ફરકાવી હતી, તેથી આજે પણ ઘરના આંગણામાં ગુડીને ઊભી રાખવાની પ્રથા પ્રચલિત છે. આંગણામાં ઊભેલી ગુડી વિજયનો સંદેશ આપે છે. ઘરમાં વાલીનો (આસુરી શક્તિઓનો દૈવી શક્તિએ) નાશ કર્યો તેની તે સૂચક છે.
આ રીતે ગુડી બનાવાય છે
ગુડી બનાવવા માટે એક લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. ત્યારબાદ તેને હળદર અને કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હારડા, નાનું કાપડ (મોટાભાગે લીલા રંગનું), ફૂલનો હાર વગેરે સામગ્રીની જરૂર પડે છે. લાકડીના એક છેડે નાના રંગીન કપડાને ફિટ બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ તેના પર લોટાને ઊંધો મૂકી દેવામાં આવે છે. આ ઊંધા મૂકેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવીને હારડાનો હાર પહેરાવવામાં આવે છે. જે રીતે સાડી પહેરાય છે તે જ રીતે લાકડીને સાડી પહેરાવવામાં આવે છે.
મહારાષ્ટ્ર અને માલાબારમાં આ ઉત્સવ ખાસ રીતે ઊજવવામાં આવે છે. ઘરના દેવગૃહમાં સંપૂર્ણ સાફસફાઈ કરવામાં આવે છે અને ઘરને સજાવવામાં આવે છે. સંવત્સર પ્રતિપદાના આ દિવસે વહેલી સવારે ઊઠીને પોતાની આંખો ખોલીને ગૃહલક્ષ્મીની સાથે પ્રભુનાં દર્શન કરવામાં આવે છે. ઘરની મુખ્ય વ્યક્તિ સંપત્તિ અને ઐશ્વર્યથી સુશોભિત દેવની આરતી ઉતારે છે.
ગુડી પડવો એટલે વિજય પતાકા. ભોગ પર યોગનો વિજય, ભૈરવ પર વિભૂતિનો વિજય અને વિકાસ પર વિચારનો વિજય. મંગળતા અને પવિત્રતાને વાતાવરણમાં સતત પ્રસારિત કરનાર આ ગુડીને ફરકાવનારે આત્મનિરીક્ષણ કરીને એ જોવું જોઈએ કે મારું મન શાંત, સ્થિર અને સાત્ત્વિક બન્યું છે કે નહીં.
ગુડી પડવો એક સંદેશો પણ માનવસમાજને આપે છે કે સૂતેલા કાનોમાં સાંસ્કૃતિક ધ્વનિ ફૂંકવા તથા મૃત માનવના શરીરમાં જીવનનો સંચાર કરવા માટે આજે પણ શાલિવાહનની જરૂર છે. માનવ માત્રમાં ઈશ્વરે એ શક્તિઓનો સંચાર કર્યો છે. માત્ર તેને જાગૃત કરવાની જરૂર છે.