પૂર્વ મંત્રીઓ સહિત અનુભવી નેતાઓનો સમાવેશ કરાયો
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત ભાજપ દ્વારા રાજ્ય અનુશાસન સમિતિની રચના જાહેર કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ આ સમિતિના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે. સમિતિમાં અનુભવી નેતાઓને સ્થાન અપાયું છે, જેમાં રજનીભાઇ પટેલને સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સમિતિમાં સભ્ય તરીકે શબ્દસરણ બ્રહ્મભટ્ટ, રાજેશભાઈ પટેલ, દિલીપસિંહ પરમાર (પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર), પીયુષભાઈ દેસાઈ (પૂર્વ ધારાસભ્ય) અને બીનાબેન આચાર્ય (પૂર્વ પ્રદેશ મંત્રી)ને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ નેતાઓ અલગ-અલગ જિલ્લાઓમાંથી આવતાં હોવાથી સમગ્ર રાજ્યમાં સંગઠનને મજબૂત બનાવવા માટે મદદરૂપ બનશે.
પાર્ટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અનુશાસન સમિતિ સંગઠનમાં શિસ્ત જાળવવા, આંતરિક વિવાદો ઉકેલવા અને કાર્યકર્તાઓ વચ્ચે સંવાદ વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી સમયગાળામાં ભાજપ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે આ સમિતિ અસરકારક સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


