- સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવા નીર્ણય
- સ્માર્ટ મીટર સાથે માંગણી કરનારને વધુ એક મીટર લગાવાશે
- સ્માર્ટ વીજ મીટર માટે જાગૃતિ લાવવા પ્રયાસ
સ્માર્ટ મીટરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. તેમાં સ્માર્ટ મીટર સાથે જૂના મીટર લગાવાશે. જેમાં ગેર સમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવા નીર્ણય કરવામાં આવ્યો છે. તેમાં સ્માર્ટ મીટર સાથે માંગણી કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાશે.
સ્માર્ટ વીજ મીટરનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે
સ્માર્ટ વીજ મીટરનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સ્માર્ટ મીટરના બદલે જુના વીજ મીટરની માગ સાથે લોકોનું ટોળુ અલકાપુરી વીજ કચેરીની ઓફિસમાં ઘૂસી ગયું હતું પરિણામે પોલીસની એન્ટ્રીએ મામલો થાળે પાડવા સઘન પ્રયાસો કર્યા હતા. આમ છતાં પણ ટોળુ ટસનું મસ થવાનું નામ લેતું ન હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર દ્વારા સ્થાનિક ગ્રાહકને કોઈપણ જાતની સમજ આપ્યા વિના નાખવામાં આવ્યા છે.
કોઈ જાતની સૂચના કે સમજ વીજ મીટર બેસાડવા આવનાર દ્વારા આપવામાં આવતી નથી
જ્યારે બીજી બાજુ સ્માર્ટ વીજ મીટરમાં રિચાર્જ બાબતે પણ કોઈ જાતની સૂચના કે સમજ વીજ મીટર બેસાડવા આવનાર દ્વારા આપવામાં આવતી નથી. સ્માર્ટ વીજ મીટરમાં રિચાર્જ માટે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અત્યંત જરૂરી છે પરંતુ જેમની પાસે આવો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ના હોય તેવા વીજ કનેક્શન ધારકને રિચાર્જ બાબતે ભારે તકલીફ પડે છે જો કે નિયત સમયે રિચાર્જ નહીં કરાવાતા વીજ ધારક ગ્રાહકનું કનેક્શન તાત્કાલિક ધોરણે કપાઈ જાય છે. જ્યારે બીજી બાજુ અગાઉના જુના મીટરોમાં પોસ્ટ પેઈડ વીજ બીલ ભરવાની સિસ્ટમ હતી. જેમાં મુદત વીતવા છતાં પણ વીજ નિગમ દ્વારા ચોક્કસ મુદત આપવામાં આવતી હતી.
સ્માર્ટ વીજ મીટરમાં ત્રણથી ચાર ગણું વીજ બીલ આવતું
દરમિયાન સ્માર્ટ વીજ મીટરમાં ત્રણથી ચાર ગણું વીજ બીલ આવતું હોવાનો સ્માર્ટ વીજ મીટર ધારકોને અહેસાસ થવા માંડ્યો હતો નિયત વીજ બિલમાં વપરાતી વીજળી ગણતરીના દિવસોમાં વપરાઈ જતા વીજ કનેક્શન કપાઈ જાવાનો અહેસાસ સ્થાનિક વીજ ગ્રાહકોને થવા માંડ્યો હતો. પરિણામે સ્માર્ટ વીજ મીટર ધારકોએ આ બાબતે વિરોધ કરવાનું શરૂ કરીને વીજ કચેરીએ ટોળા રૂપે જઈ રજૂઆત કરવા માંડી હતી.
વીજ બિલ નહીં આપનારની ધરપકડ કરવામાં આવશે તેવી ધમકીનો આક્ષેપ
આ ઉપરાંત વીજધારકને યેનકેન સમજાવી કે પછી ધરપકડ અથવા દંડનીય કાર્યવાહીનો ડર બતાવીને વીજ કનેક્શન ધારક પાસેથી રનીંગ વીજબીલ લઈ લેવાય છે. ત્યારબાદ સ્માર્ટ વીજ મીટર લગાવી દેવામાં આવે છે. તેમજ વીજ બિલ નહીં આપનારની ધરપકડ કરવામાં આવશે કે પછી રૂપિયા દસ હજાર સુધીનો દંડ પણ વીજ કંપની દ્વારા થઈ શકે છે તેવી વીજ ગ્રાહકને ધમકી અપાય છે તેવી ફરિયાદો થઇ હતી. જેમાં હવે સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે.


