વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ‘સુશાસન’ની વ્યાખ્યા માત્ર કાગળ પર નહીં, પણ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં પ્રતિબિંબિત થઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘી સારવારના કારણે દેવાના બોજ તળે ન દબાય તે માટે સરકારની સંવેદનશીલ શાસન વ્યવસ્થાએ ‘આયુષ્માન કાર્ડ’ રૂપી રક્ષાકવચ પૂરું પાડ્યું છે.સાબરકાંઠામાં શાસનની આ પ્રતિબદ્ધતાના પરિણામે પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધીના ટૂંકા ગાળામાં જ ૧૬,૫૬૩ ક્લેમ અંતર્ગત રૂ. ૩૫.૬૭ કરોડથી વધુની રકમ ખર્ચીને હજારો નાગરિકોને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી છે.
વક્તાપુરના પઠાણ પરિવાર માટે આશીર્વાદરૂપ બની યોજના
સાબરકાંઠા જિલ્લાના વક્તાપુર ગામના રહીશ ઇરફાન ખાન યુસુફ ખાન પઠાણ અને તેમના પરિવાર માટે ભારત સરકારની ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (PMJAY) આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઇરફાન ખાન વર્ષ ૨૦૧૮થી કિડનીની બીમારી માટે નિયમિત ડાયાલિસિસ કરાવી રહ્યા છે, સાથે જ તેમના પુત્રના કાનનું ખર્ચાળ ઓપરેશન પણ આ યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. ઇરફાન ખાને ભાવુક હૃદયે સરકારનો આભાર માનતા જણાવ્યું કે, આયુષ્માન કાર્ડને કારણે જ તેમનો પરિવાર આર્થિક પાયમાલીમાંથી બચ્યો છે.
નાગરિકોને ઝડપી અને નિઃશુલ્ક સારવાર મળી રહી
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં લાખો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૮,૮૬,૪૧૬ લાભાર્થીઓ આયુષ્માન કાર્ડ ધરાવે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની સુખાકારી માટે સરકારની નવી પહેલ અંતર્ગત જિલ્લાના ૭૦ વર્ષથી વધુ વયના ૫૬,૦૦૦ વડીલોને ખાસ ‘વય વંદના કાર્ડ’ આપવામાં આવ્યા છે, જેથી વૃદ્ધાવસ્થામાં તેમની સારવારની ચિંતા દૂર થઈ શકે. જિલ્લામાં આરોગ્ય સેવાઓનું નેટવર્ક પણ ખૂબ મજબૂત છે. હાલમાં સાબરકાંઠામાં ૩૧ પ્રાઇવેટ હોસ્પિટલો અને ૬૨ સરકારી હોસ્પિટલો આ યોજના હેઠળ કાર્યરત છે, જ્યાં નાગરિકોને ઝડપી અને નિઃશુલ્ક સારવાર મળી રહી છે. આમ, આયુષ્માન યોજના સાબરકાંઠાના છેવાડાના માનવી માટે ખરા અર્થમાં ‘જીવનરક્ષક’ સાબિત થઈ રહી છે.


