- દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદથી બેહાલ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરી ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકા વહીવટી તંત્ર સાથે બેઠક યોજશે
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસ્યો છે. ત્યારે દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદના કારણે સ્થિતિ બેહાલ બની છે. દ્વારકા અને જામનગર જિલ્લામાં ઠેરઠેર પાણી ભરાયા છે અને ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
મુખ્યપ્રધાન જામનગર અને દ્વારકા જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરશે
ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા જામનગર અને દ્વારકા જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરશે. બપોરે 3:45 વાગ્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચશે અને હેલિકોપ્ટર મારફતે અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરશે. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મુખ્યપ્રધાન દ્વારકાના વહીવટી તંત્ર સાથે બેઠક યોજશે અને તમામ માહિતી મેળવશે.
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતિ
- જૂનાગઢ – 4.48 ઈંચ
- માણાવદર – 10.2 ઈંચ
- વંથલી – 4.2 ઈંચ
- ભેંસાણ – 1.88 ઈંચ
- વિસાવદર – 9.04 ઈંચ
- મેંદરડા – 3.4 ઈંચ
- કેશોદ – 7.32 ઈંચ
- માંગરોળ – 3.48 ઈંચ
- માળીયા – 6.52 ઈંચ
ચાલુ સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ
- જૂનાગઢ – 45.4 ઈંચ
- માણાવદર – 54.24 ઈંચ
- વંથલી – 53.84 ઈંચ
- ભેંસાણ – 23.04 ઈંચ
- વિસાવદર – 51.92 ઈંચ
- મેંદરડા – 47.64 ઈંચ
- કેશોદ – 47.52 ઈંચ
- માંગરોળ – 28.68 ઈંચ
- માળીયા – 42.68 ઈંચ
- જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 44.03 ઈંચ
વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઈંચ વરસાદ નોંધાયો
રાજ્યના 40 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કામરેજ અને પલસાણામાં 6.4 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 5.8 ઈંચ, નીઝરમાં 5.6 ઈંચ વરસાદ મહુવામાં 5.5 ઈંચ, નવસારીમાં 4.9 ઈંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં સતત પાંચમાં દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ગીર ગઢડામાં બે કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને ઉનામાં હળવા ઝાપટા પડી રહ્યા છે.


