- ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54 ટકાથી વધુનો જળસંગ્રહ
- રાજ્યના 206 જળાશયોમાં 35 ટકાથી વધુનો જળસંગ્રહ
- સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-2 સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25 ટકા જેટલો જળસંગ્રહ, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે. જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે.
કચ્છના 20 જળાશયોમાં 22.92 ટકા પાણીનો સંગ્રહ થયો
રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નિગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.5 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 37.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.33 ટકા, કચ્છના 20 જળાશયોમાં 22.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપતિ વિભાગે જણાવ્યું છે.
ગીરસોમનાથનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો
ગીરના જંગલમાં ઉપરવાસ વરસાદના કારણે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે.દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ઝુડવડલી, વડવીયાડા, દ્રોણ સહિતના ગામોના ખેડૂતો માટે આ ડેમનું પાણી આશીર્વાદ સમાન છે. ગીરના મધ્ય જંગલમાંથી નિકળી મચ્છુન્દ્રી નદી સમુદ્રને મળે છે.વરસાદ બાદ નદી કિનારે લીલી વનરાઈ સોળે કળાએ ખીલી ઉઠી છે.ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદથી ચોમેર પાણી વહેતા થયા છે.ગીરસોમનાથમાં અનરાધારા વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક જળાશયો અને નદી-ડેમ છલકાયા છે.ત્યારે આ નયનરમ્ય દ્રશ્યો જોતા લાગે કે જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી છે.


