- કચ્છના માંડવીમાં 2.4 ઈંચ વરસાદ વરસ્યો
- 25 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો
- પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ
રાજ્યમાં આજે 146 તાલુકામાં સાંજે 6 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે.
બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ વરસાદ
ત્યારે જો પાટણ તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં સાંજ સુધી 3.1 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ વરસાદ, પાટણના સાંતલપુરમાં 2.5 ઈંચ વરસાદ તો કચ્છના માંડવીમાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ અન્ય તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. ત્યારે વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઈ છે અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
પાટણમાં કેનાલ ઓવરફ્લો થતા સોસાયટીઓમાં પાણી ઘુસ્યા
પાટણમાંથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ છે. જેમાં પદ્મનાભ નજીકથી કેનાલ પસાર થાય છે. તેમાં કેનાલ ઓવરફ્લો થતા સોસાયટીઓમાં પાણી ઘુસ્યા છે. કેનાલના તૂટેલા ભાગમાંથી પાણી સોસાયટીમાં ઘુસ્યા છે. આસપાસની 15 સોસાયટીના લોકોના જીવ અદ્ધર થયા છે. તેમાં પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
વણાકબોરી ડેમ 100 ટકા ભરાયો
ખેડાના ઠાસરામાં આવેલો વણાકબોરી ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યો છે. ત્યારે ડેમ 100 ટકા ભરાતા વણાકબોરી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને 3500 ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડાયું છે અને આસપાસના ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણી છોડાયું હોવાના કારણે વણાકબોરી ડેમ ભરાઈ ગયો હતો. વણાકબોરી ડેમની સપાટી 220 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે વરસાદના કારણે 53 જેટલા ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 47 ડેમ 100 ટકા ભરાયા છે. ત્યારે 10 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર મુકાયા છે. જ્યારે 63 ડેમમાં હજુ 25% કરતા ઓછું પાણી જોવા મળ્યુ છે.
અમદાવાદનો બોપલ ઘુમા વિસ્તારનો માર્ગ ધોવાયો
અમદાવાદમાં નજીવા વરસાદમાં ઠેરઠેર રસ્તાઓ ધોવાઈ ગયા છે. વરસાદમાં શહેરના બોપલ ઘુમા વિસ્તારનો રોડ ધોવાયો છે. આ વિસ્તારમાં એક તરફનો આખો રસ્તો ધોવાતા હાલાકી પડી રહી છે અને અનેક વાહનચાલકોના વાહન ખાડામાં ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. બોપલમાં સામાન્ય વરસાદથી પડેલા ખાડામાં રીક્ષા ફસાઈ ગઈ હતી, જેને આસપાસ લોકોએ મળીને મહા મહેનતે બહાર કાઢી હતી. ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે દર વર્ષે પાણી ભરાય છે અને રસ્તાઓ ધોવાઈ જાય છે, તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી તેમ છતા તેઓને પ્રજાના પ્રશ્નો હલ કરવામાં કોઈ રસ ના હોય તેવુ લાગી રહ્યું છે.


