- 45 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ
- સુરતના પલસાણામાં છેલ્લા 2 દિવસમાં 250 લોકોનું સ્થળાંતર
- વરસાદના કારણે પાણીની ભરપૂર આવક
આજે સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે તિલકવાડામાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેર અને પાદરામાં આઠ ઈંચ વરસાદ તો ભરુચમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે.
45 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ
ત્યારે રાજ્યના પાંચ તાલુકામાં સાત ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે, છ તાલુકામાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ, 12 તાલુકામાં ચાર ઈંચ કરતા વધુ વરસાદ, 12 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ, 14 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 45 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદથી લોકોને હાલાકી
ઉલ્લેખનીય છે કે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી લોકોના ઘરો, દુકાનોમાં ઘુસ્યા છે અને અનેક ચીજ વસ્તુઓને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. કેટલાક વિસ્તારોમાં લોકો કેડસમા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા હતા.
સુરતના પલસાણામાં છેલ્લા 2 દિવસમાં 250 લોકોનું સ્થળાંતર
સુરતના પલસાણામાં વરસાદથી હાલાકી પડી રહી છે. છેલ્લા 2 દિવસમાં 250 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે, ત્યારે પલસાણા તાલુકામાંથી 112 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. આજે બલેશ્વરમાંથી 60 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે અને લીંગડ ગામે 16 વ્યકિતઓને ખસેડાયા છે. આ સાથે જ 250 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
વરસાદના કારણે પાણીની ભરપૂર આવક
વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને સરદાર સરોવર ડેમ 54 ટકા જેટલો ભરાયો છે. ત્યારે રાજ્યમાં 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે 51 ડેમ હાઈ એલર્ટ પર છે તેવી જાણકારી રાહત કમિશનરે આપી છે. ત્યારે રાજ્યમાં 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે અને છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે.


