- રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
- વડોદરામાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન
- આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. જેમાં રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયુ છે. તેમજ વડોદરામાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન છે. તથા આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ત્યારે અમદાવાદમાં 40.2, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી તથા ડીસામાં 38.3 ડિગ્રી, સુરતમાં 40.0 ડિગ્રી તાપમાન છે. અમરેલીમાં 41.3, ભાવનગરમાં 39.6 ડિગ્રી, પોરબંદરમાં 40, રાજકોટમાં 40.9 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગરમાં 40.7, મહુવામાં 41.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.
કેશોદમાં 41.1 ડિગ્રી, ભુજમાં 37.8 ડિગ્રી તાપમાન
ઉલ્લેખનીય છે કે કેશોદમાં 41.1 ડિગ્રી, ભુજમાં 37.8 ડિગ્રી તાપમાન છે. તેમજ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રમ અને રોજગાર, પાણી પુરવઠા, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને પંચાયત વિભાગને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો છે, હીટવેવની સ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી મારફતે તમામ 33 જિલ્લાના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે.
સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે
સીએમએ નાગરિકોને સુરક્ષા માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી. ઝીરો કેઝયુઅલ્ટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા સહિતના સૂચનો કર્યા હતા. રાહત કમિશનરે મલ્ટી પર્પઝ સાયકલોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.


