ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે. `આચાર્ય દેવો ભવ:’ કહીને આપણે તેમને ઈશ્વરતુલ્ય ગણેલા છે. ગુરુ શબ્દનો અર્થ જ એ છે કે જે જીવનમાં અજ્ઞાનનાં અંધારાંને દૂર કરી શકે. આપણાં શાસ્ત્રોમાં પણ ગુરુ શબ્દના વિભિન્ન અર્થ દર્શાવવામાં આવ્યા છે.
ગારયતે વિજ્ઞાપયતિ શાસ્ત્ર રહસ્યમય ઈતિગુરુ: અર્થાત્ જે વેદાદિ શાસ્ત્રોનાં રહસ્યોને સ્પષ્ટ કરે છે તે જ ગુરુ છે. ગિરતિ અજ્ઞાનાન્ધકારમ્ ઈતિ ગુરુ: અર્થાત્ જે પોતાના અણમોલ ઉપદેશો દ્વારા શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે તે જ ગુરુ છે. શાસ્ત્રોમાં જણાવેલા ગુરુના અર્થ પણ જાણવા જેવા છે. શાસ્ત્રોમાં `ગુ’નો અર્થ જણાવ્યો છે અંધકાર અથવા મૂળ અજ્ઞાન અને `રુ’નો અર્થ જણાવ્યો છે તેનો નિરોધક, તેને દૂર કરનાર. ગુરુને એટલા માટે ગુરુ કહેવામાં આવે છે કેમ કે અજ્ઞાન તિમિરનું તેઓ જ્ઞાનાંજન શંલાકાથી એટલે કે પોતાના જ્ઞાનથી નિવારણ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો તેઓ અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે. આથી આ કાર્ય કરનાર વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ અને દેવતાઓમાં સમાનતા દર્શાવતા એક શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે જેવી ભક્તિની આવશ્યકતા દેવતાઓ માટે છે તેવી જ ગુરુ માટે પણ છે.
ગુરુની કૃપાથી જ ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય છે. ગુરુકૃપાના અભાવમાં તે સંભવ નથી. ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય છે. આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડ્યો છે. શ્રીરામ, કૃષ્ણ, કબીર, વિવેકાનંદ, દયાનંદ વગેરેએ પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ તેની અંદર સમાયેલો તેનો શુદ્ધ આત્મા છે.
અષાઢ માસની પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિધાન છે. ગુરુપૂર્ણિમા વર્ષાઋતુની શરૂઆતમાં આવે છે.
આ દિવસથી લઈને ચાર મહિના સુધી સાધુ-સંત એક જ સ્થાને રહીને પોતાની પાસે રહેલી જ્ઞાનગંગાને વહાવે છે. આ ચાર મહિના ઋતુની દૃષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આ દરમિયાન વધારે ગરમી નથી હોતી અને ઠંડી પણ નથી હોતી. આથી અધ્યયન માટે આ સૌથી શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે. જેવી રીતે સૂર્યના તાપથી તપ્ત ભૂમિને વર્ષાના જળથી શીતળતા તથા પાક પેદા કરવાની શક્તિ મળે છે તેવી જ રીતે ગુરુચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગશક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.
ગુરુનું મહત્ત્વ
સદ્ગુરુ અંત:કરણના અંધકારને દૂર કરે છે. તેઓ આત્મજ્ઞાનની યુક્તિઓ જણાવે છે. ગુરુ પ્રત્યેક શિષ્યના અંત:કરણમાં નિવાસ કરે છે. તેઓ ઝગમગતી જ્યોતિ સમાન છે, જે શિષ્યની બુઝાઈ ગયેલી હૃદયજ્યોતિને પ્રગટાવે છે. ગુરુ મેઘની જેમ જ્ઞાનવર્ષા કરીને પોતાના શિષ્યને જ્ઞાનવૃષ્ટિમાં નવડાવે છે. ગુરુ એક એવા વૈદ્ય છે જે ભવરોગને દૂર કરે છે. ગુરુ એવા માળી છે જે જીવનરૂપી વાટિકાની સંભાળ રાખે છે તથા સુશોભિત કરે છે.
ગુરુ અભેદનું રહસ્ય જણાવીને ભેદમાં અભેદનું દર્શન કરવાની કળા શીખવે છે. આ દુ:ખરૂપ સંસારમાં ગુરુકૃપા જ એક એવો અમૂલ્ય ખજાનો છે, જે મનુષ્યને આવાગમનના કાલચક્રમાંથી મુક્તિ અપાવે છે.
જીવનમાં સંપત્તિ, સ્વાસ્થ્ય, સત્તા, પિતા, પુત્ર, ભાઈ અથવા જીવનસાથી કરતાં પણ વધારે જરૂરિયાત સદ્ગુરુની છે. સદ્ગુરુ શિષ્યને નવી દિશા આપે છે અને જ્ઞાનથી પ્રાપ્તિ કરાવે છે.
શિષ્યોનું અનુપમ પર્વ
સાધક માટે ગુરુપૂર્ણિમા વ્રત અને તપશ્ચર્યાનો દિવસ છે. આ દિવસે સાધકે ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ, ફળ કે અલ્પાહાર લેવો જોઈએ.
ગુરુના દ્વારે જઈને ગુરુદર્શન, ગુરુસેવા અને ગુરુસત્સંગનું શ્રવણ કરો. આ દિવસે ગુરુની પૂજા કરવાથી આખા વર્ષની પૂર્ણિમાના દિવસે કરેલાં સત્કર્મોનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
શિષ્યે ગુરુ, ઈષ્ટ, આત્મા અને મંત્ર આ ચારેયમાં ઐક્યનાં દર્શન કરવાં જોઈએ. શ્રદ્ધા રાખીને આગળ વધવું જોઈએ. જે શિષ્ય સદ્ગુરુનું પાવન સાંનિધ્ય મેળવીને આદર તથા શ્રદ્ધાથી સત્સંગ સાંભળે છે, તે શિષ્યનો પ્રભાવ અલૌકિક હોય છે. શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાના મિલનથી જ મોક્ષનાં દ્વાર ખૂલે છે. જો તમે સદ્ગુરુને રીઝવવા માંગતા હોવ તો આજના દિવસે તેમને કંઈક દક્ષિણા જરૂર આપવી જોઈએ.
ગુરુપૂર્ણિમાની ઉજવણી
ભારતભરમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. પ્રાચીનકાળમાં વિદ્યાર્થી, ગુરુના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા ગ્રહણ કરતો હતો. આથી આ દિવસે શ્રદ્ધા અને કૃતજ્ઞતાના ભાવથી પ્રેરિત થઈને તે પોતાના ગુરુનું પૂજન કરીને પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર દક્ષિણા આપીને કૃતકૃત્ય થતો હતો. આજે પણ તેનું મહત્ત્વ ઓછું થયું નથી. પારંપરિક રીતે શિક્ષા આપનાર વિદ્યાલયોમાં સંગીત અને કલાના વિદ્યાર્થીઓમાં આજે પણ આ દિવસ ગુરુને સન્માનિત કરવાનો હોય છે. મંદિરોમાં પૂજા થતી હતી, પવિત્ર નદીઓમાં સ્નાન થતાં હતા, ઠેર-ઠેર ભંડારા થતા હતા અને મેળાઓ ભરાતા હતા. આ દિવસે અલગ-અલગ જગ્યાએ જુદા-જુદા પ્રકારે ઉજવણી થતી હોય છે. લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. બંગાળી સાધુઓ પોતાનું માથું મૂંડાવીને પરિક્રમા કરે છે. આજના દિવસે સનાતન ગોસ્વામીનો તિરોભાવ થયો હતો. વ્રજમાં આ પર્વને મુડિયા પૂનો કહેવામાં આવે છે. હરદ્વારમાં ગુુરુપૂર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થાય છે. પૂજન-અર્ચન કરે છે અને ગરીબોને દાન-પુણ્ય કરે છે. શિરડીમાં પણ આ પર્વને ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન-પૂજા આદિ કર્મોથી નિવૃત્ત થઈને ઉત્તમ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગુરુ પાસે જવું જોઈએ. તેમને ઊંચા સુસજ્જિત આસન પર બેસાડીને ફૂલોની માળા પહેરાવવી જોઈએ. ત્યારબાદ વસ્ત્ર, ફૂલ, ફળ તથા માળા અર્પણ કરી તથા થોડુંક ધન તેમને ભેટમાં આપવું જોઈએ. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાથી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આશીર્વાદથી આપેલી વિદ્યા સિદ્ધ અને સફળ થાય છે. આ પર્વને શ્રદ્ધાપૂર્વક મનાવવું જોઈએ. ગુરુપૂજનનો મંત્ર છે.
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર।
ગુરુ સાક્ષાત્પરબ્રહ્મ તસ્મૈશ્રી ગુરુવે નમ:॥
ગુરુપૂર્ણિમાના દિવસે તો શિષ્યોએ પ્રાર્થના કરવી જોઈએ કે હે ગુરુદેવ! ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ પર તમારાં ચરણોમાં મારા કોટિ પ્રણામ. તમે જે પદ પર આજે વિશ્રાંતિ મેળવી રહ્યા છો, તે જ પદ પર હું પણ વિશ્રાંતિ મેળવવા માટે કાબેલ બનું. જ્યારે આત્મા-પરમાત્માથી અંતરની વધુ ક્ષણો બાકી ન હોય, ઈશ્વર કરે કે ઈશ્વરમાં અમારી પ્રીતિ થઈ જાય. પ્રભુ એવી કૃપા કરે કે પ્રભુના નાતે ગુરુ-શિષ્યનો સંબંધ બન્યો રહે.
અષાઢ માસમાં જ ગુરુપૂર્ણિમા શા માટે?
અષાઢ મહિનો વર્ષાઋતુમાં આવે છે, ત્યારે મોટાભાગે આકાશમાં વાદળ છવાયેલાં રહે છે. તેને કારણે ઘણીવાર ચંદ્ર દેખાતો નથી. શક્ય છે પૂનમના દિવસે પણ ચંદ્ર ન દેખાય. બીજી પણ ઘણી પૂર્ણિમાઓ છે, જેમ કે શરદપૂર્ણિમા. તેને શા માટે પસંદ કરવામાં ન આવી અને અષાઢ મહિનાની પૂર્ણિમાને જ ગુરુપૂર્ણિમા તરીકે પસંદ કરવામાં આવી?
અષાઢ મહિનાની પૂર્ણિમા પસંદ કરવા પાછળ કેટલીક મહત્ત્વની બાબતો સંકળાયેલી છે. ગુરુ એ પૂર્ણિમા જેવા અને શિષ્ય અષાઢનાં વાદળ જેવા હોવાનું કલ્પવામાં આવ્યું છે. શરદપૂર્ણિમાએ તો ચંદ્ર સુંદર દેખાય છે, કારણ કે આકાશ ખાલી હોય છે. ત્યાં શિષ્ય જ નહીં માત્ર ગુરુ જ છે. અષાઢમાં વાદળરૂપી શિષ્યો જન્મ-જન્માંતરના અંધકાર કે અજ્ઞાન લઈને આકાશમાં ઘેરાયેલા છે. જેમના પર ગુરુ ચંદ્ર પ્રકાશ પાત કરે છે. અંધારાથી ઘેરાયેલા વાતાવરણમાં પોતાનો પ્રકાશ આપી શકે, તે જ સાચા ગુરુ છે. આકાશમાં તમને ચંદ્ર ભલે ન દેખાય, પરંતુ ધરતી પર ચંદ્ર સ્વરૂપે ગુરુ પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. તેઓ ક્યારેય અંધારું થવા દેતા નથી.
આપણે ગુરુ માટે સૂર્યને પસંદ કરી શકતા હતા, પરંતુ આપણે ચંદ્ર પસંદ કર્યો, કારણ કે સૂર્ય પાસે પોતાનો પ્રકાશ છે, જ્યારે ચંદ્ર પાસે પોતાનો કોઈ પ્રકાશ નથી. તે જ રીતે ગુરુ પાસે પણ પોતાનો પ્રકાશ નથી, તેમનામાં રહેલો જ્ઞાનરૂપી પ્રકાશ પરમાત્માનો છે. જેમ આપણે સૂર્ય સામું સીધું ખુલ્લી આંખે જોઈ શકતા નથી, તેમ પરમાત્મા તરફ પણ સીધું જોઈએ શકતા નથી. પરમાત્મા તરફ જોવામાં ગુરુ શિષ્યને મદદ કરે છે. આથી જ કબીરે કહ્યું છે કે, ગુરુ ગોવિંદ દોઉં ખડે કાકે લાગુ પાય. એટલે કે કોના ચરણમાં વંદન કરું? એવો સમય આવ્યો છે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા છે. પછી કબીરે ગોવિંદના ચરણમાં જ સ્પર્શ કર્યો, કારણ કે બલિહારી ગુરુ આપકી, જો ગોવિંદ દિયો બતાય.