- પાકિસ્તાનમાંના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાનાં ઘણાં મોટાં માથાંનો ખાતમો થયો
- આતંકવાદીઓનો ખાતમો કેમ થાય છે?
- આતંકવાદીઓના ખાતમા પાછળ ISI હાથ
પાકિસ્તાનમાં રહેલા ભારતના ટોપ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ અને તેના સહયોગીઓને ધડાધડ પાડી દેવાનો સિલસિલો ખતમ નથી થતો. અહીં, મોટી વાત એ છે કે હમણાં થોડા સમયથી પાકિસ્તાનમાં સક્રિય એ ગ્રેડ આતંકવાદીઓ, અજ્ઞાત હુમલાખોરોની ગોળીઓનો શિકાર થઈ રહ્યા છે. ડિસેમ્બરમાં પાકિસ્તાનમાંના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા (એલઇટી)નાં ઘણાં મોટાં માથાંનો ખાતમો થયો છે. તેમાં એ ગ્રેડ આતંકવાદી હબીબુલ્લાહ ઉર્ફે ભોલા ખાન જે એલઇટી પ્રમુખ હાફિઝ સઇદનો નિકટનો સંબંધી ગણાતો હતો, નાણાં એકઠાં કરવા માટે જવાબદાર હાજી ઉલમર ગુલ અને એલઇટીનો ટોપ ટ્રેનર અબ્દુલ્લા શહીન ઉર્ફે જિહાદી ગુરુ સામેલ છે.
ઇન્ટેલિજન્સ એજન્સીઓનાં સૂત્રો અનુસાર,પાકિસ્તાનમાં ધડાધડ મરતા આતંકવાદીઓના લીધે જુદાં જુદાં સંગઠનોના પ્રમુખ ભયના ઓથાર નીચે આવી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે તે બધા પ્રમુખો હવે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. તેમાં હાફિઝ સઇદ, સૈયદ સલાહુદ્દીન, મસૂદ અઝહર, અબ્દુલ રહમાન મક્કી અને ઝફર ઇકબાલ, વગેરેનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ બધાને પાકિસ્તાનમાં સુરક્ષા અપાઈ છે.
આતંકવાદીઓનો ખાતમો કેમ થાય છે?
કેન્દ્રીય એજન્સીઓનાં સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનમાંનાં ઘણાં આતંકી સંગઠન વૈશ્વિક છે. સૂત્રો અનુસાર, પાકિસ્તાનમાં મરી રહેલા આતંકીઓની પાછળની વાર્તા કંઈક જુદી જ છે. અત્યારે પાકિસ્તાનમાં ગંભીર આર્થિક સંકટ છે. આ સ્થિતિમાં તે હવે એવાં આતંકી સંગઠનોનો ખર્ચ વહન નથી કરી શકતું, જે દાયકાઓથી તેના માટે ઉપયોગી હતાં. ગ્રે સૂચિમાંથી બહાર રહેવા અને જૂના આતંકીઓ પર થતા ખર્ચમાંથી બચવા હવે આતંકીઓનો ખાતમો બોલાવાઈ રહ્યો છે અને એટલે જ ટોચના આતંકીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે.
આતંકવાદીઓના ખાતમા પાછળ ISI હાથ
પાકિસ્તાનમાં ચાલુ વર્ષે જૈશ-એ-મોહમ્મદ, ડી કંપની, લશ્કર-એ-તોયબા, હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-જબ્બર અને લશ્કર-આઇ-જાંગવી સહિત ઘણાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનમાં રહેલાં આતંકવાદી સંગઠનોના ટોચના લોકો પર હુમલા નથી થતા. જો તેમાંના કોઈ જેલમાં છે તો તેને હાઈ સિક્યુરિટી અપાઈ છે. આતંકવાદીઓના ખાતમા પાછળ પાકિસ્તાની ISI હાથ છે.
અત્યાર સુધીમાં કયા આતંકવાદીનો ખાતમો ?
કરાચીમાં અજ્ઞાત હુમલાખોરોએ હંઝલા અદનાનને ગોળીઓ મારી હતી. અદનાનની હત્યાને હાફિઝ સઇદે એક મોટો ઝટકો ગણાવી હતી. ભારતના મુખર ટીકાકાર ગણાતા મલિક અસલમ વજીરની એક બ્લાસ્ટમાં હત્યા કરી દેવાઈ હતી. જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદનો નિકટનો ગણાતો મૌલાના રહીમ તારિક ઉલ્લા 13 નવેમ્બરે કરાચીમાં અજ્ઞાત હુમલાખોરોની ગોળીઓનો નિશાન બન્યો હતો. તેની પહેલાં હાફિઝ સઇદના નિકટના ગણાતા અકરમ ગાઝીની હત્યા થઈ હતી. મુઝફ્ફરાબાદમાં થોડા દિવસ પહેલાં ખ્વાઝ શાહિદ ઉર્ફે મિયાં મુઝાહિદની હત્યા થઈ હતી. દાઉદની ડી કંપનીનો મોહમ્મદ સલીમ અજ્ઞાત હુમલાખોરોનો શિકાર બન્યો હતો. તો, પઠાનકોટ હુમલાના માસ્ટર માઇન્ડ શાહિદ લતીફ ઉપરાંત ISI એજન્ટ મુલ્લા બાહૌર ઉર્ફે હોર્મુઝની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત બીજા ડઝનબંધ આતંકવાદીઓની પાકિસ્તાનમાં અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી નાખી છે.


